વલસાડ : નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે રૂ.65 લાખના ખર્ચે નિર્માણ થયેલી શાળાનું લોકાર્પણ કરાયું
Live TV
-
વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભદેલી નવાપુરા ગામની પ્રાથમિક શાળા ઘણા વર્ષોથી જર્જિરત હતી, જે નવી બનાવવા માટે રજૂઆત કર્યા બાદ 6 માસમાં રૂ. 65 લાખના ખર્ચે નવી આધુનિક સુવિધાઓ સાથેની સ્કૂલ બિલ્ડિંગ તૈયાર થતા રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ સમારોહ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, નાનકડા ભદેલી ગામે દેશને પ્રધાનમત્રી તરીકે મોરારજી દેસાઈ આપ્યા હતા. એ જ રીતે વડનગરે પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી આપ્યા છે જેઓ ભારતને નવી દિશામાં લઈ જઈ સર્વાંગી વિકાસ સાધી રહ્યા છે. ગુજરાતમાં ભૂકંપ સમયે નરેન્દ્રભાઈએ જે રાહત કાર્યો કર્યા તેનાથી લોકોને હિંમત મળી હતી. અનેક નવા નવા આયામોની ભેટ આપી હતી. જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. સ્માર્ટ કલાસ દ્વારા દુનિયાભરની જ્ઞાનની શક્તિ મળી રહે છે.વિદ્યાર્થીઓ નસીબદાર છે કે તેઓને સ્વંય સંચાલિત જ્ઞાન મળી રહે છે. હવે પ્રાથમિક શાળાઓ આધુનિક સુવિધાસભર બની રહી છે.
વલસાડના ધારાસભ્ય ભરત પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, આજના બાળકો દેશનું આવતીકાલનું ભવિષ્ય છે. તેઓ થકી દેશ તંદુરસ્ત બનશે, તેઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રયત્નશીલ રહે છે. એક એક બાળકની તંદુરસ્તી અને શિક્ષણનો ખ્યાલ એમણે રાખ્યો છે. પહેલા બાળક રડતા રડતા સ્કૂલે જતુ હતું પરંતુ જ્યારથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ ચાલુ કરાવ્યો ત્યારથી બાળક હવે આનંદ સાથે હોંશેહોંશે શાળામાં આવે એ છે એ શિક્ષણક્ષેત્રે મોટી ક્રાંતિ કહેવાય છે.
બાળકો ભણી ગણીને આગળ વધે અને દેશનું તેમજ પરિવારનું અને ગામનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી. ગ્રામજનો દ્વારા મંત્રી અને ધારાસભ્યને સરસ્વતી માતાની મૂર્તિ ભેટરૂપે આપવામાં આવી હતી. ગામમાં મંત્રીનું આગમન થતા જ હિંગળાજ માતાના મંદિરે ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખુલ્લી જીપમાં ગામમાં ઢોલ નગારા સાથે મંત્રીનો રોડ શો યોજાયો હતો.
