વાવેતર પહેલા ખેડૂતોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
Live TV
-
રાજ્યભરમાં ચોમાસાના આગમન બાદ પૂર્વે ખરીફ પાકનું વાવેતર થશે. રાજ્યમાં વાવેતર થાય તે પહેલા બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા, ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવવામાં આવ્યા છે. જમીનજન્ય રોગોના વ્યવસ્થાપન માટે ઉનાળામાં હળ કે ટ્રેક્ટરની દાંતીથી આડી અને ઉભી ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી રોગકારક ફૂગ, જીવાણું, કિટકનાં કોશેટા, ઈંડા કે કૃમિ ઊંડી ખેડને કારણે જમીનની ઉપરી સપાટીથી બહાર આવે છે અને અસહ્ય ગરમીથી નાશ પામે છે.
ખેતી નિયામકની યાદીમાં જણાવ્યા અનુસાર દર વર્ષે જમીનમાં પાકની ફેરબદલી કરવી જરૂરી છે. એક જ જમીનમાં એક જ પાકનું વાવેતર કરવાનું ટાળવું જોઈએ, જેથી સૂકારો, મૂળનો કહોવારો, થડનો સડો, ગંઠવા કૃમિ જેવા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન થઇ શકે. મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઇ, જુવાર, ડુંગળી અને લસણ વગેરે પાક સાથે તેની વાવણી કરવાથી જમીનજન્ય રોગોને ઘટાડી શકાય છે.
કોઈપણ ધરૂવાડીયામાં અથવા ખેતરમાં જ્યારે ખૂબ ગરમી પડતી હોય ત્યારે સૌ પ્રથમ જમીનમાંથી અગાઉના પાકના અવશેષો તથા નીંદામણ દૂર કરી, પાણી આપી, વરાપ થયે છાણિયું ખાતર કે કોઈપણ ખોળ ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી જોઈએ. ત્યારબાદ તુરંત જ ધરૂવાડીયાના કે ખેતરના ક્યારાના માપ પ્રમાણે 100 ગેજનું એલ.એલ.ડી.પી.ઈ. પારદર્શક પ્લાસ્ટિક જમીન પર પાથરી ચારે બાજુથી ચુસ્ત રહે તે રીતે માટીથી પ્લાસ્ટિકની ધારને જમીનમાં દબાવી દેવું જોઈએ. ૧૫ દિવસ સુધી તેને પશુ કે માણસોથી નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
