શાળા પ્રવેશોત્સવની જ્વલંત સફળતાના પરિણામે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ
Live TV
-
શાળા પ્રવેશોત્સવ 2025-26 દરમિયાન બાલવાટિકામાં રાજ્યના 8.73 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાવવાનું આયોજન
ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા વધે, બાળકોનો શાળા પ્રવેશનો નામાંકન દર વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ એવી ઘટના હતી, જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં ભણવા આવવા માટે આવકાર્યા હતા. પ્રધાનમંત્રીએ શરૂ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.
શાળા પ્રવેશોત્સવની જ્વલંત સફળતાના પરિણામે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. શાળા પ્રવેશોત્સવ શરૂ થયો તે પહેલા વર્ષ 2003-04માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ-1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75 ટકા હતો. ધોરણ-1માં વિદ્યાર્થીઓના નામાંકન દરને 100 ટકા સુધી પહોંચાડવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બીજા જ વર્ષે 2004-05માં નામાંકન દર વધીને 95 ટકા સુધી પહોંચ્યો હતો. ત્યારથી છેલ્લા 22 વર્ષ દરમિયાન ધોરણ-1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 99 ટકાથી વધુ જ રહ્યો છે.
વર્ષ 2004-05 સુધી રાજ્યમાં કન્યાઓનો નામાંકન દર પણ ખૂબ જ ઓછો હતો, જેના પરિણામે શાળાના વર્ગોમાં કુમાર અને કન્યાના પ્રમાણમાં અસમાનતા જોવા મળતી હતી. આ સમસ્યાના સમાધાન માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને સાથે જ દીકરીઓને શિક્ષણમાં આર્થિક સહાય કરતી કેટલીક યોજનાઓની શરૂઆત કરાવી હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકારે બાલવાટિકા શરૂ કરી છે. રાજ્ય સરકારે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગના બાળકોના રસીકરણ (ટેકો/ઈમમતા) ડેટાને જોડવાની પહેલ કરીને યોગ્ય ઉમર ધરાવતા બાળકોને ઓળખી તેમને પ્રવેશ આપવાનો નવીન અભિગમ અપનાવ્યો છે. પ્રવેશપાત્ર દરેક બાળકનો ડેટા તેમના માતા-પિતાના સંપર્ક નંબર સાથે શાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે તે વિસ્તારની શાળા યોગ્યતા ધરાવતા બાળકોનો શાળા પ્રવેશ સુનિશ્ચિત કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી તા. 26,27 અને 28મી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે 8.73 લાખથી વધુ નાના ભૂલકાઓને પ્રવેશ અપાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. રાજ્ય સરકારના આ તમામ પ્રયાસોના પરિણામે રાજ્યમાં નામાંકન દરમાં વધારો અને ડ્રોપ-આઉટ રેશિયોમાં વધુ ઘટાડો આવશે.
આ સફળતા પછી ધોરણ 8 થી 9નો ડ્રોપઆઉટ રેટ ઘટાડવો પણ અત્યંત આવશ્યક હતો. એટલા માટે જ, રાજ્ય સરકાર ધોરણ-8ના તમામ બાળકો ધોરણ-9માં પ્રવેશ મેળવે તેમજ ધોરણ-10ના તમામ બાળકો ધોરણ-11માં પ્રવેશ મેળવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી તેમનું સઘન મેપિંગ કરવામાં આવે છે. આવા તમામ વિદ્યાર્થીઓને નજીકની સરકારી કે અનુદાનિત માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. આ વર્ષે ધોરણ-8 થી ધોરણ-9 માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા 10.56 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ-10 થી ધોરણ-11માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા 6.50 લાખથી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
