સંત શિરોમણી જલારામ બાપાની 143મી પુણ્યતિથિ
Live TV
-
વીરપુર વેપારી એસોસિએસને ધંધા-રોજગાર બંધ રાખી પૂ.જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપી.
આજે સંત શિરોમણી જલારામ બાપાની 143મી પુણ્યતિથિ છે. આજે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ પૂ.જલારામ બાપાની પુણ્યતિથિ પર શ્રદ્ધાળુઓ દ્વારા કાર્યક્રમો થઈ રહ્યા છે. જલારામ બાપાના સ્થાનક એવા રાજકોટના વિરપુર ધામ ખાતે આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂ.જલારામ બાપાના દર્શનાર્થે ઉમટ્યા છે. વીરપુર વેપારી એસોશિએસન દ્વારા ગામના બજારો અને વેપાર-ધંધા બંધ રાખી પૂ.જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપી છે.
પૂ.જલારામ બાપાના જીવન પર એક નજર કરીએ તો કારતક સુદ સાતમના 4 નવેમ્બર 1799ના દિવસે રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં જલારામ બાપાનો જન્મ થયો હતો. સંત શ્રી જલારામ બાપા શ્રીરામના ભક્ત હતા. તેઓ 'બાપા'ના નામથી પ્રખ્યાત હતા. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1872 માં તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે થયા.
જલારામના ધર્મપત્ની વીરબાઈ પણ ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા, જેથી તેમણે પણ એમનું જીવન જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં વિતાવી દીધું. 19 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના અમરેલી નજીક આવેલ ફતેહપુરમાં રહેતા ભોજલરામ ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર આપ્યો, માળા અને શ્રીરામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. કોઇપણ નાત-જાતના ભેદભાવ વિના તેમની સતત સેવા ભાવનાને કારણે ઘણા લોકો તેમના અનુયાયીઓ બન્યા છે.
'જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો' સૂત્રને સાર્થક કરનારા પૂજ્ય સંત જલારામબાપાએ પૂજ્ય ભોજલરામબાપાની પ્રેરણાથી વિ.સં.1876, મહા સુદ બીજથી વીરપુરમાં શરુ કરેલા અન્નક્ષેત્રમાં 200 વર્ષ પછી પણ ભૂખ્યાને ભોજન મળે છે. જલારામ બાપાનું વિક્રમ સંવત 1937 માં 81 વર્ષની ઉંમરે રામનામનું સ્મરણ કરતા નિર્વાણ પામ્યા. આજે તેમના ગયાને ઘણો લાંબો સમયગાળો પસાર થઇ ગયો છે તેમ છતાં તેમની અન્નક્ષેત્રની પ્રવૃત્તિ અવિરત પણે ચાલુ છે.
કોઈ પણ વ્યક્તિ વીરપુર જલારામ બાપાના મંદિરમાં જાય તો એને જમવાનું મળી જ રહે છે. દરેક લોકો જાણે છે કે એક વીરપુર જલારામ બાપાનું મંદિર જ છે જ્યાં એકદમ મફતમાં જમવાનું મળે છે. આ સ્થળ પર જલારામ ભગત સાથે જોડાયેલી કેટલીય ચીજ-વસ્તુઓ ભાવિકોના દર્શનાર્થે મુકવામાં આવી છે. આ સ્મારકમાં જલા ભગતની હાથમાં લાકડી અને માથે પાઘડી વાળી એક પ્રતિમા મુકવામાં આવી છે જેના દર્શન કરી ભાવિકો અનોખી અનુભુતિ કરે છે.
