સંયુક્ત રાષ્ટ્રસંઘના એમ્બેસેડર ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી; સુંદરતા અને સંરક્ષણની પ્રશંસા કરી
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રસંઘના રાજદૂત ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે પ્રતિમાના સ્થાપત્ય, તેની આસપાસના કુદરતી સૌંદર્ય અને પર્યાવરણને અનુકૂળ વિકાસની ખૂબ પ્રશંસા કરી. ડૉ. અફેદીએ આ સ્થળને 'એકતા, દૂરંદેશી અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક' ગણાવ્યું અને યુએન, યુરોપ અને આફ્રિકાના લોકોને આ વૈશ્વિક પ્રવાસન સ્થળની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા.
કેવડિયા-ગુજરાત, 30 ઓક્ટોબર, 2025 | સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ- UN)ના રાજદૂત ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ ગુરુવારે ગુજરાતના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન, ડૉ. અફેદીએ ગુજરાતની આ સ્થાપત્યકીય અજાયબી અને તેની આસપાસના આકર્ષક કુદરતી સૌંદર્યની દિલ ખોલીને પ્રશંસા કરી.
વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે કેવડિયા
ડૉ. અફેદીએ તેમની મુલાકાત દરમિયાન ઔષધ માનવ જંગલ સફારી અને અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું, અને તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારના વિકાસથી અત્યંત પ્રભાવિત થયા હતા.
તેમણે પ્રકૃતિ સાથે સુમેળ જાળવી રાખીને આ વિસ્તારને વૈશ્વિક પ્રવાસન સ્થળમાં જે રીતે પરિવર્તિત કરવામાં આવ્યો છે, તેની સરાહના કરી હતી. ડૉ. અફેદીએ તેમના પ્રતિભાવમાં કહ્યું કે, "સ્ટેચ્યૂ ઑફ યુનિટી એ માત્ર એક સ્મારક જ નથી, પરંતુ તે એકતા, દૂરંદેશી અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે."
પ્રકૃતિની નજીક રહેવાનો સંદેશ
ડૉ. અફેદીને આ સ્થળ ખૂબ ગમ્યું અને તેમણે પ્રકૃતિની નજીક રહેવાનો આનંદ માણ્યો. તેમણે એક સ્થાનિક અધિકારી સાથે વૃક્ષો અને પ્રકૃતિ માનવ સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે વિશે ચર્ચા કરી.
"આ સ્થળ મેં જોયેલા સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, અને મને આશા છે કે હું ભવિષ્યમાં ફરી મુલાકાત લઇશ. આ સ્થળની સુંદરતા મનમોહક છે. મારી સૌને અપીલ છે કે તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લે અને પ્રકૃતિનો અનુભવ કરે. પ્રકૃતિ આપણા સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે, શક્તિ આપે છે અને આપણું આયુષ્ય લાંબું કરે છે," ડૉ. અફેદીએ જણાવ્યું હતું. તેમણે યુએન, યુરોપ અને આફ્રિકાના લોકોને પણ આ સ્થળની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કર્યા.
સંરક્ષણ અને ટકાઉ પ્રવાસનની પ્રશંસા
પોતાની મુલાકાત દરમિયાન, ડૉ. અફેદીએ પ્રતિમાની આસપાસની હરિયાળી, રિવરફ્રન્ટ અને સ્વચ્છ-શાંતિમય વાતાવરણ સહિતની સુવ્યવસ્થિત કામગીરી અને પર્યાવરણને અનુકૂળ પહેલોની પ્રશંસા કરી હતી. તેમણે ભારતના પ્રયાસોની સરાહના કરી, જે વિશ્વ સ્તરીય પ્રવાસન આકર્ષણોનું નિર્માણ કરવાની સાથે-સાથે ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપે છે અને કુદરતી વારસાનું સંરક્ષણ કરે છે.
ડૉ. અફેદીની આ મુલાકાત દર્શાવે છે કે કેવડિયા એક એવા સ્થળ તરીકે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી રહ્યું છે, જ્યાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને આધુનિક વિકાસનો સુભગ સમન્વય જોવા મળે છે.
