સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ-સુરત દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ’ યોજાયો
Live TV
-
સુરતની વિવિધ સંસ્થા અને સંગઠનોના સહયોગથી સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ-સુરત દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મોટા વરાછા ખાતે 'ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ' યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર, રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા અને નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, રાજયસભાના સાંસદ ગોવિંદ ધોળકીયાનું ઉમળકાભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વિશાળ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશને એકતાના તાંતણે બાંધનાર, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસદાર છીએ. સરદાર સાહેબના લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિમાંથી પ્રેરણા લઈ પટેલ સમાજે આગવી દેશવિદેશમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના મંત્રને પાટીદાર સમાજે આત્મસાત કર્યો છે અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પનાને સાકાર કરી સમાજની સંગઠન શક્તિનું સશક્ત ઉદાહરણ પૂરું પાડ્યું છે.શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરી અવિરત વિકાસ સાધવો એ પટેલ સમાજની વિશેષતા હોવાનું જણાવી તેમણે કહ્યું કે, મહેનત પાટીદાર સમાજના સ્વભાવમાં છે અને સાદગી, કરકસર તથા સ્વાવલંબનની ભાવનાથી સમાજ પગભર થયો છે, જેના પરિણામે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની એકતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરતા વધુમાં કે, પટેલ સમાજ માત્ર એક સમુદાય નથી, પરંતુ પરિશ્રમ, પ્રમાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતીક છે. ખેડૂત તરીકે જમીન સાથે જોડાયેલા સમાજે ખેતી, સિંચાઈ, જળ સંચય, જમીન સુધારણા અને આધુનિક ખેતી પદ્ધતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉદ્યોગ, શિક્ષણ, સહકાર, વેપાર અને રાષ્ટ્ર નિર્માણમાં પણ આ સમાજનું યોગદાન રહ્યું છે, જે આજે રાજ્ય અને દેશના વિકાસનો મજબૂત આધાર બન્યા છે એમ જણાવી તેમણે સુરત અને દક્ષિણ ગુજરાતે ડાયમંડ, ટેક્સટાઇલ, સ્ટાર્ટઅપ અને સ્માર્ટ સિટી તરીકેની જે ઓળખ મેળવી છે તેમાં પાટીદાર સમાજના પરિશ્રમ અને ઉદ્યોગશીલતાનો મોટો ફાળો હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુનેગારનો કોઈ સમાજ હોતો નથી, ગુનેગાર સમાજનો દુશ્મન હોય છે. ગુનેગાર સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કેવી રીતે કરવી તે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સારી રીતે જાણે છે. રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓના ગામડાઓના સામાન્ય માણસો વ્યાજખોરોના ચક્કરમાંથી બચાવવા રાજ્ય સરકારે વ્યાજખોરો સામે શરૂ કરેલી કાર્યવાહીના કારણે વ્યાજખોરોને બચવા માટે જમીન પણ નસીબ નથી થઈ.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં દિવાળી પર્વ દરમિયાન આવેલા અચાનક કમોસમી વરસાદથી રાજ્યના લાખો ખેડૂતોને નુકસાન થતાં રૂ.10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું અને મુખ્યમંત્રીએ પેકેજ સહાયના વિતરણની જવાબદારી સંભાળી અને રૂ. 8700 કરોડની ચૂકવણી ઝડપી રીતે ખેડૂતોના ખાતામાં પહોંચાડી. દેશના ઇતિહાસમાં ઝડપી સર્વે પૂર્ણ કરી સીધા ખેડૂતોના બેંક ખાતામાં સહાય પહોંચાડવાનું કાર્ય વર્તમાન સરકારે કરી બતાવ્યું છે.
તેમણે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં મંદી આવતાં રત્ન કલાકારોના બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે દેશમાં પહેલીવાર વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું. હજારો રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ-કોલેજની ફી સીધી સરકાર દ્વારા ભરવામાં આવી. પોતાનો મુદ્દામાલ પરત મેળવવા ફરિયાદીઓએ હવે વર્ષો સુધી કોર્ટમાં ધક્કા ખાવાની સ્થિતિ રહી નથી. ‘તેરા તુજ કો અર્પણ’ જેવી વ્યવસ્થાથી રાજ્ય પોલીસ દ્વારા કરોડોની મરણમૂડી, મુદ્દામાલ ઝડપથી મૂળ માલિકોને પરત અપાવવામાં આવી રહી છે.
સન્માન સમારોહ અંતર્ગત લોકસાહિત્યના સંગાથે આયોજિત ભવ્ય ડાયરામાં પ્રખ્યાત કલાકારો કિર્તીદાન ગઢવી, જીગ્નેશ બારોટ, ઉર્વશી રાદડીયા, સુખદેવ ધામેલીયા, ઘનશ્યામ લાઠીયા અને હનુભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય, લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
