સુરતઃ 10મા ધોરણના વિદ્યાર્થીઓનો ગણિતનો ડર દૂર કરવા શિક્ષકે QR કૉડ કર્યો તૈયાર
Live TV
-
બોર્ડની પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓ પાસે હવે થોડા દિવસો જ બચ્યાં છે. પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા , વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોચિંગ લેતા હોય છે. ત્યારે મસ મોટી ફી નહીં ભરી શકનાર વિદ્યાર્થીઓ માટે સુરતની સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાના આચાર્ય નરેશ મહેતાએ અનોખી પહેલ શરૂ કરી છે.
તેમણે ધોરણ 10ની ગણીતની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે , તેવી નવી પેપર સ્ટાઈલના દાખલાઓનાં સોલ્યુશનનો અને તેના QR કોડ તૈયાર કરીને 70 જેટલાં વીડિયો બનાવ્યા છે. તેમનું કહેવું છે કે, આજે દરેક લોકો પાસે સ્માર્ટફોન છે. ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને, નવી પેપર સ્ટાઇલ મુજબ દાખલાઓ સમજવામા સરળતા રહેશે.
નોંધનીય છે કે, દર વર્ષે કોઇપણ કારણસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓને એક્ષ્ટર્નલ પરીક્ષા માટે આચાર્ય નરેશ મહેતા નિઃશુલ્ક શિક્ષણ આપે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાતુર નરેશ મહેતાના આ પ્રેરણાદાયી કાર્યને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બિરદાવી ચુક્યા છે.
