સુરેન્દ્રનગરના ગાજણવાવ ગામે પ્રગતિશીલ ખેડૂતે તરબૂચનું સફળ વાવેતર કર્યું
Live TV
-
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજના ખેડૂતોને પ્રગતિશીલ બનાવવા માટે ખેતી લક્ષી વિવિધ જાહેરાતો તેમજ શિબિરો અને સહિતના પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત પરંપરાગત વાવેતરના બદલે તરબૂચ સફળ વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે. તરબૂચના વાવેતરથી ખેડૂતને આર્થિક ફાયદો થાય છે સાથે સાથે બીજો મુખ્ય ફાયદો એ પણ થાય છે કે તરબૂચના વાવેતરમાં વધુ રાહ જોવી પડતી નથી અને માત્ર 80 થી 90 દિવસમાં જ પાક તૈયાર થઇ જાય છે અને સારા ભાવે વેચાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કપાસ, બાજરી, જીરૂં અને ઘઉં જેવાં પાકોનું જ વાવેતર કરવામાં આવતું હતું. પરંતુ, સરકાર દ્વારા શિબિરો, સેમિનાર સહિત જાગૃતિ આવતા હવે જિલ્લામાં ખેડૂતો રોકડીયા વાવેતર તરફ વળ્યા છે અને અનેક ખેડૂતો વિવિધ પ્રકારના રોકડીયા પાકનું સફળ વાવેતર કરી સારી કમાણી કરી રહ્યાં છે ત્યારે ગાજણવાવના રમેશભાઈ પટેલ નામના પ્રગતિશીલ ખેડૂતે તરબૂચનું સફળ વાવેતર કર્યું છે. તેઓ ડ્રિપ ઇરીગેશન પધ્ધતિથી ખેતી કરે છે.
આ ખેડૂતે તરબૂચનું વાવેતર કરવાનો પ્રયોગ ત્રણેક વર્ષ પહેલા કર્યો હતો. જેમાં સફળતા મળતા ધીરે ધીરે તેમણે વાવેતરમાં વધારો કર્યો અને આ વર્ષે 17 એકર જમીનમાં તરબૂચનું ડ્રિપ ઇરીગેશન પદ્ધતિથી વાવેતર સફળતાપૂર્વક કર્યું છે. તેમજ પ્રતિ એકર બે થી ત્રણ લાખ રૂપિયાની આવક મળતી હોવાનું તેમજ આ તરબૂચનું ફળ બે કિલો થી સાત કિલો સુધીનું થતું હોવાનું અને રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ તેમજ ધાંગધ્રા સહિતના બજારોમાં સારી એવી કિંમતે વેચાતુ હોવાથી ખેડૂતોને કમાણી પણ સારી થાય છે.
આ સાથે સાથે માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં જ પાક તૈયાર થઇ જતો હોવાથી પરંપરાગત પાકના બદલે તરબૂચનું સફળ વાવેતર કરી ગાજણવાવ ગામમાં જ અન્ય 12 થી 15 જેટલા ખેડૂતોને આ વર્ષે વાવેતર માટે તૈયાર કરેલા તેઓને પણ પાકમાં સફળતા અને સારો એવો ભાવ મળી રહ્યો છે ત્યારે, જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પરંપરાગત ખેતી છોડીને રોકડિયા પાક તરફ વળવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
