"સ્વચ્છતા હી સેવા અભિયાન"નો શુભારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ
Live TV
-
“સ્વચ્છતા હી સેવા: સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ગાંધીનગરના છત્રાલ ખાતેથી "સ્વચ્છતા હી સેવા અભિયાન"નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ.ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ.ગ્રામ વિકાસ મંત્રીએ નાગરિકોની ભાગીદારી થકી બ્લેક સ્પોટની સફાઈ કરી સ્થળ સંપૂર્ણ સ્વચ્છ કરી સ્વચ્છતા શપથ લીધા
૨ ઑક્ટોબર - મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘સ્વચ્છ ભારત મિશન‘ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાતભરમાં તા. ૧૭ સ્પ્ટેમ્બરથી તા. ૩૧ ઓકટોબર સુધી "સ્વચ્છતા હી સેવા: સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાન યોજાશે.ગાંધીનગર જિલ્લાના છત્રાલ ખાતેથી આજે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે "સ્વચ્છતા હી સેવા" અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ વિકાસ મંત્રી સહિતના મહાનુભાવોએ સ્વચ્છતા રેલી તેમજ બાળકોની સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ ઉપરાંત ગ્રામ વિકાસ મંત્રી સહિત તમામ મહાનુભાવોએ સ્વચ્છતા લક્ષીત એકમની મેગા કલીનિંગ ડ્રાઈવ યોજી, નાગરિકોની ભાગીદારી થકી બ્લેક સ્પોટની સફાઈ કરી સ્થળ સંપૂર્ણ સ્વચ્છ કરી સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા. સાથે જ, ઉપસ્થિત નાગરિકોએ "એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું.સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અને ગ્રામ્ય સ્તરે વિવિધ પદાધિકારી-અધિકારીઓએ ઉપસ્થિત રહી, આજથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. જેમાં સ્વચ્છતા માટે સ્વચ્છતા સંબંધી પ્રભાત ફેરી, સ્વચ્છતા અંગે જાગૃતિ, CTUની સફાઈ થકી સંપૂર્ણ કાયાપલટ, સફાઈ મિત્ર સુરક્ષા આરોગ્ય શિબિર, સ્વચ્છતા શપથ તેમજ Zero Waste જેવા કાર્યક્રમો યોજાયા હતા.
નોંધનીય છે કે, ૨ ઓકટોબર, ૨૦૨૪ના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા સંબંધી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામને પુરસ્કાર આપી તેમનું સન્માન કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજ્યના ૧૮,૨૮૨ ગામડાઓમાં આશરે ૩.૫ કરોડ નાગરિકો તેમજ ૮.૨૪ લાખ સખી મંડળની સંયુક્ત ભાગીદારી થકી કુલ ૨.૩૬ લાખ સ્વચ્છતા પ્રવૃતિઓ યોજાઈ હતી. જેમાં ૮૯૦ ટન કચરો એકત્રિત કરી વૈજ્ઞાનિક ઢ્બે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં, ૧ ઓકટોબર, ૨૦૨૩ના રોજ “એક તારીખ, એક કલાક” કાર્યક્રમ અંતર્ગત મહાશ્રમદાન પણ યોજાયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ અને ગ્રામ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રા, ગાંધીનગર જિલ્લા કલેકટર એમ. કે. દવે, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ ઉપરાંત જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
