હળદર પાઉડરમાં ભેળસેળ કરનાર ઉત્પાદકને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના દરોડા, ૬.૧૮ લાખનો જથ્થો જપ્ત
Live TV
-
નડીયાદ GIDC ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. નમુનામાં હેવી મેટલની માત્રા વધુ પ્રમાણમાં મળી આવતા તેને “અનસેફ” જાહેર કરવામાં આવ્યો.
રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ ન થાય તેની કડકપણે અમલવારી માટે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત કાર્યરત છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડીયાદ કચેરીના અધિકારીઓને એક ફેકટરીમા હળદર પાઉડરમાં ભેળસેળ કરાતી હોવાની શંકાને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ફેકટરીમાંથી રૂ.૬.૧૮ લાખની કિંમતનો ૫૧૫૦ કિલો હળદર પાઉડરનો જથ્થો જપ્ત કરી, હળદર પાઉડરનો નમૂનો પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ નમુનામાં હેવી મેટલની માત્રા વધુ પ્રમાણમાં મળી આવતા તેને “અનસેફ” જાહેર કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના નડીયાદ GIDC ખાતે પ્લોટ નં. સી ૧-૭માં આવેલી મે.સનરાઈઝ સ્પાઈઝ એક્ષ્પોર્ટર્સ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડીયાદ કચેરીના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ ટીમને માહિતી મળી હતી કે, આ ફેકટરીમાં વાસુદેવ ટહેલ્યાણી દ્વારા લૂઝ હળદર પાઉડરનું જે ઉત્પાદન કરવામાં આવે છે તેની ગુણવત્તા અયોગ્ય છે. આ શંકાને આધારે આ પેઢી (ફેકટરી)માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. પેઢીમાંથી ૫૦ કિગ્રાના ૧૦૩ બેગ હળદર પાવડર (લુઝ)નો જથ્થો મળ્યો હતો જેમાંથી હળદર પાઉડરનો નમુનો લઈ તેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. લેબોરેટરીએ પુથ્થકરણ કરતા આ નમુનામાં હેવી મેટલની વધારે માત્રા હોવાના કારણે “અનસેફ” જાહેર કર્યો છે.
આ નમુના સાથે સંકળાયેલ તમામ જવાબદાર વેપારી સામે ફોજદારી કેસ દાખલ કરી કાયદા અન્વયે દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી. કોશિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
