‘જનપ્રતિનિધિઓ લોકસેવક બની શ્રેષ્ઠ વહીવટ કરે’: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા
Live TV
-
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા જામકંડોરણા અને ગોંડલ ખાતે પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે માર્ગદર્શન અને પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જનપ્રતિનિધિઓને ‘લોકસેવક’ બની શ્રેષ્ઠ વહીવટ અને કામગીરી કરવા અપીલ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓએ માત્ર રોડ, પાણી જેવી માળખાકીય કામગીરી પૂરતી સીમિત ન રહી, પરંતુ સ્વચ્છતા, આરોગ્ય, નશામુક્તિ અને પર્યાવરણ અંગે જનજાગૃતિના કાર્યો પણ કરવા જોઈએ. ગામમાં નિયમિત બેઠકો યોજી ‘મારું ગામ, આદર્શ ગ્રામ’ના સૂત્રને સાકાર કરવા તેમણે આહ્વાન કર્યું હતું.અતિવૃષ્ટિ દરમિયાન ખેડૂતોને રાહત આપવા રાજ્ય સરકારે ₹10 હજાર કરોડનું પેકેજ જાહેર કરી સમયસર સહાય ચૂકવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત, MSP હેઠળ 100 ટકા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને સરકાર ખેડૂતોના પડખે રહી હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગોંડલ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડના નવીનીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી છ મહિનામાં એક્સપાયર થનારા કાર્ડધારકોની યાદી તૈયાર કરી ગામોમાં આપવામાં આવશે, જેથી સમયસર કાર્ડ રિન્યૂ કરાવી શકાય.કાર્યક્રમોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી અધિકારીઓ તથા પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
