14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપ મેચને લઈ મુખ્યમંત્રીએ સુરક્ષા સમીક્ષા કરી
Live TV
-
આગામી 14 ઓક્ટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની મેચ યોજાવાની છે. વર્લ્ડ કપની આ મહત્વની મેચ જોવા દેશ-વિદેશથી લોકો આવવાના છે. તો કેટલીક હસ્તીઓ પણ મેચ જોવા આવવાની છે. જેને લઈને રાજ્ય સરકાર સુરક્ષા મામલે સતર્ક બની છે. રાજ્ય સરકાર દ્વારા સુરક્ષામાં કોઈ કચાશ નથી રાખવા માંગતી. આ માટે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
આ મહત્વની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમ જ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ બેઠકમાં વિગતો મેળવી હતી અને આ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
