15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Live TV
-
બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી, C.C.T.V. કેમેરાથી દેખરેખ રખાશે, PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રનું ટ્રેકિંગ, ધોરણ ૧૦માં કુલ 9,17,687 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ ૧૨માં 6,21,352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આજથી એટલે કે 11 માર્ચથી 22 માર્ચ 2024 સુધી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. રાજ્યભરમાં કુલ ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થી ભાઈ-બહેનો ધોરણ 10ની પરીક્ષા આપશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૨,૦૭૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 31 માર્ચે ગુજકેટની પરીક્ષા પણ યોજાશે જેમાં ૩૭,૭૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બોર્ડે પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાની બાબતો અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ગેરરીતિ આચરે નહીં તેથી C.C.T.V. કેમેરાની હેઠળ દેખરેખ રાખવામાં આવશે.પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને 3વર્ષથી વધુની કેદની સજા જે 5 વર્ષ સુધી લંબાવી શકશે અથવા રૂ.૨,૦૦,૦૦૦/- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવશે.પરીક્ષા સ્થળ સાથે પહોંચવામાં સમસ્યા સર્જાય તો ૧૦૦ નંબર ઉપરથી પોલીસની સહાય મેળવી શકાશે.
