2024 સુધીમાં રાજ્યના તમામ જરૂરીયાતમંદ કુટુંબોને સ્વપ્નનું ઘર પુરૂ પાડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તા.20મી નવેમ્બર 2016 થી અમલમાં મુકવામાં આવી છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ-2024 સુધીમાં ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતા એક પણ જરૂરીયાતમંદ કુટુંબો પોતાના સ્વપ્નનું ઘર વિના ન રહે તેવો ગુજરાત સરકારનો લક્ષ્યાંક છે. જેના ભાગરૂપે આ યોજના અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ1,42,186 આવાસોને મંજુરી આપી દેવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાનના હસ્તે અંબાજી ખાતે 15,000 આવાસોનું, વડોદરા ખાતે એક લાખ આવાસોનું તેમજ દાહોદ મુકામે 9,800 એમ કુલ 1,24,800 આવાસોનું લોકર્પણ કરવામાં આવ્યુ હતુ તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ યોજના અંતર્ગત પ્રથમ હપ્તાના રૂ. 30 હજાર પેટે 56,358 લાભાર્થીઓના ખાતામાં D.B.T ના માધ્યમથી કુલ રૂ.169 કરોડથી વધુ ટ્રાન્સફર કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત આ યોજના અંતર્ગત છ માસમાં આવાસ બનાવીને પૂર્ણ કરી દેનાર કુલ 22,500 લાભાર્થીઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ રૂ. 20 હજારની સહાય પેટે કુલ રૂ. 45 કરોડ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવ્યા છે. એટલુ જ નહિ, રાજ્ય સરકારની મુખ્યમંત્રી બાથરૂમ બાંધકામ માટે લાભાર્થી દીઠ રૂ. 5 હજારની અતિરીક્ત સહાય આપવામાં આવી છે. જે અંતર્ગત કુલ 31,385 લાભાર્થીઓને રૂ. 15.69 કરોડ લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા તા.19 ડિસેમ્બર, 2022ના રોજ વર્ષ 2022-23 માટે 1,48,605 આવાસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકની સામે અત્યાર સુધીમાં કુલ 1,42,186 આવાસોને મંજુરી આપી દેવામાં આવી છે. વર્ષ 2023ના મે મહિના સુધીમાં આ તમામ આવાસોનું ખાતમુહુર્ત કરી પ્લીન્થ લેવલ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન છે.