27 સપ્ટેમ્બરના રોજ પીએમનો બોડેલી પ્રવાસ કાર્યક્રમ નિશ્ચિત
Live TV
-
શિક્ષણ સચિવ વિનોદ રાવે તૈયારીની સમીક્ષા કરી
પ્રધાનમંત્રીના બોડેલી પ્રવાસને લઈને 2જી ઓકટોબર ના બદલે તારીખ વહેલી કરીને અંતે 27 સપ્ટેમ્બર ના રોજ બુધવારે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોડેલી સેવા સદન પાસેના ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધવાના છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બોડેલી મુકામે પધારવાના છે. ખૂબ જ ઓછા સમયમાં આટલી મોટી તૈયારી કરવાની હોય જિલ્લા વહીવટી તંત્ર માઈક્રો પ્લાનિંગ સાથે કાર્યક્રમ માટે આખરી ઓપ આપી રહ્યું છે.
તા. 22ના રોજ શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવ ખાસ ગાંધીનગરથી તૈયારીની સમીક્ષા કરવા માટે બોડેલી સભા સ્થળે 1 કલાક સુધી કલેકટર, ડીડીઓ, પ્રાયોજના વહીવટદાર, આધિક નિવાસી કલેકટર, પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, સંખેડા ધારાસભ્ય, એસટી ડેપો મેનેજર, એમજીવિસિએલ, માર્ગ અને મકાન, ડીઈઓ, ડીપીઓ, વડોદરા ડીઈઓ તેમજ તમામ કચેરીના ક્લાસ 1 અને 2 સ્થળ પર હાજર રહ્યા હતા. સ્થળ નિરીક્ષણ બાદ વિનોદ રાવની અધ્યક્ષતામાં બોડેલી સેવા સદન ખાતે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં નિવાસી કલેકટરે તમામ વિગતો, વિવિધ કમિતિઓ, બેઠક વ્યવસ્થા, ડાયસ પ્લાન, બસ રૂટ વગેરે બાબતોથી વિનોદ રાવ ને અવગત કર્યા હતા.
શિક્ષણ સચિવ વિનોદ રાવે જરૂર મુજબ ફેરફારો અને સૂચનો કર્યા હતા. તેઓ ફરી વખત 26 સપ્ટેમ્બરના રોજ રૂબરૂ આખરી તૈયારીની સમીક્ષા કરશે અને વી.સી દ્વારા રોજ છોટાઉદેપુરથી અપડેટ મેલવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની કાળજી રાખી કાર્યક્રમની તૈયારી કરવામાં આવી રહી છે. શનિવાર રવિવાર બે દિવસની રજા હોય તમામ કર્મચારીઓને ઓફિસ શરૂ રાખવા તમામની રજાઓ કેન્સલ કરવામાં આવી છે તેમજ કોઈને પણ જાણ કર્યા વગર હેડકવાટ્રર છોડવાની મનાઈ ફરમાવાઈ છે.
શિક્ષણમંત્રી તા. 22-09-2023ના રોજ કેવડિયા પ્રવાસ પર હોઈ તેમણે પણ બોડેલી ખાતે ઊડતી મુલાકાત લઈ કાર્યક્રમની તૈયારી વિશે જાણકારી મેળવી હતી.
