CM ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગરને 495 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ અને નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું, જેમાં 72 કરોડથી વધુના 18 વિકાસકાર્યનું લોકાર્પણ અને 423 કરોડના 76 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરાયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણાના વિસનગર APMC ખાતે રૂપિયા 495 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 30 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ બિલ્ડીંગ, રૂપિયા 670 કરોડના ખર્ચે નવીન નગરપાલિકા બિલ્ડીંગ તેમજ રૂપિયા 4.47 કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિસનગર નગરપાલિકા દ્વારા રૂપિયા 18.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા 10.12 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વિસનગરમાં બાયપાસ રોડ માટેની જમીન સંપાદન માટે ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ સગર્ભા મહિલાને પોષણ કીટ અને TBના દર્દીઓને પણ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમને સંબોધિત કરતાં CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, વિસનગરને આજે 495 કરોડના વિકાસકામોની ભેટ મળી છે. આજે એક જ દિવસમાં શહેરોને કરોડોના વિકાસકામોની ભેટ મળે છે. એટલું તો પહેલાની સરકારનું વાર્ષિક બજેટ પણ ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TB નિર્મૂલન પર ખાસ ભાર મુક્યો છે. વિકસિત ભારત બનાવવા માટે આપણી પાસે સમય છે. આપણે આપણી જાત, પૈસા જે પણ થઇ શકે તેનો ઉપયોગ કરીને વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનીએ. જેમ આપણે આપણું ઘર સાફ રાખીએ છીએ તેમ આપણે આપણું આંગણું, રોડ, રસ્તા, શહેર અને તાલુકાને પણ સ્વચ્છ રાખવો જોઈએ. આમ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે નવ સંકલ્પનો શક્ય તેટલો ઉપયોગ કરવો જોઈએ. જેથી વિસનગર વિકસિત બનશે, મહેસાણા વિકસિત બનશે, ગુજરાત વિકસિત બનશે અને આમ આખો દેશ વિકસિત બનશે.