Lion@2047: એશિયાટીક સિંહો માટે સાસણ સિંહસદન ખાતે 'પ્રોજેક્ટ લાયન' કમિટીની બેઠક યોજાઈ
Live TV
-
પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશન અનુસાર સાસણ ગીર સિંહ સદન ખાતે 'પ્રોજેક્ટ લાયન' અંગેની કમિટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયાટીક સિંહોના સંવર્ધન અને સંરક્ષણનું કાર્ય કરવા અંગે ચર્ચા કરાઈ હતી. જે નવા વિસ્તારોમાં સિંહે પોતાના નવા રહેઠાંણ બનાવ્યા છે તેવા વિસ્તારોને ઓળખી અને તે વિસ્તારમાં તેને અનુકૂળ પર્યાવરણ ઉભુ કરવા સુવિધાઓ વિકસાવાશે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના સ્થળે કોસ્ટલ બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, ગ્રીન મોબિલિટી સહિત, ઈકો ટૂરિઝમની અપાર શક્યતાઓ પર મંથન કરાયું હતું.
ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ 2015માં 523 હતી. જે વર્ષ 2020માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ છે. જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગીર જંગલમાં વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને સંરક્ષણ કરવું પણ જરૂરી બને એવા શુભહેતુસર પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતની શાન સમા સિંહો આવાસની શોધમાં સતત વિસ્તારનો વધારો કરી રહ્યાં છે. જ્યાં હવે સાવરકુંડલા અને મોટા લિલિયા જેવા ક્ષેત્રમાં સિંહ જોવા મળે છે. આ સિંહના સંરક્ષણ-સંવર્ધન સહિતની કામગીરી માટે આવતા 10 વર્ષ સુધીમાં અંદાજીત 2927.71 કરોડના ખર્ચે 'પ્રોજેક્ટ લાયન' અંતર્ગત સિંહોના સંવર્ધન માટે વિવિધ માળખાકિય સુવિધાઓ ઉપરાંત લાયન સેલ, વાઈલ્ડલાઈફ ડિસિઝ ડાયગ્નોસ્ટિક રિસર્ચ એન્ડ રેફરલ સેન્ટર, કેટલીકવાર સિંહો અકસ્માતે મૃત્યુ પામે છે તો આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સુરક્ષાનું માળખું વધુ સુદ્રઢ કરાશે.
ઉપરાંત નેશનલ સ્ટિયરિંગ કમિટી ચેરમેન ડૉ.એસ.પી.યાદવ દ્વારા શીર્ષ અધિકારીઓને પ્રોજેક્ટ લાયન અંતર્ગત સિંહોને જે પ્રકારનો રહેણાંક વિસ્તાર પસંદ છે તે અનુસાર નિયમ મુજબ વન વિભાગના વિસ્તારનો વિકાસ, વન્યપ્રાણીઓના જળસ્ત્રોત વગેરે ઉભા કરાશે તે અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત આસિ.ઈન્સ્પેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ ડૉ.ધીરજ મિત્તલ અને નાયબ વન સંરક્ષકશ્રી મોહન રામ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી ઈકો ટૂરિઝમ, સ્થાનિક લોકો માટે રોજગાર, સ્થાનિક સંસ્કૃતિ, સંવર્ધન માટે 'સિંહ મિત્ર', વીડી મેનેજમેન્ટ, સિંહ સન્માન રાશિ, સર્વે કરી બાયપાસ બનાવવા, નોઈઝ પોલ્યુશન, લાઈટ પોલ્યુશન વગેરે જેવા મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રોજેક્ટ લાયન હેઠળ અવેરનેસ અંતર્ગત માનવજીવન અને વન્યપ્રાણીઓ પૂરક બને તેમજ સિંહનું સંવર્ધન શા માટે જરૂરી છે તેની પણ વિવિધ સેમિનાર વડે લોકોને સમજ આપવામાં આવશે અને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, વાઈલ્ડલાઈફ હેલ્થ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત નાણાંકિય પ્લાનિંગ, ઈકો ટૂરિઝમ, ગ્રીન મોબિલિટી, એલિવેટેડ કોરિડોર સહિત અપાર શક્યતાઓને આકાર અપાશે.
અગ્ર મુખ્ય વનસંરક્ષક એન.શ્રીવાસ્તવના જણાવ્યાનુસાર, એશિયાટીક સિંહો સતત નવા નવા વિસ્તારમાં આવાસ શોધી રહ્યા છે. કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ લાયન- ‘લાયન@2047: 'અ વિઝન ફોર અમૃતકાલ' હેઠળ આ સિંહો માટે નવો રહેણાંક વિસ્તાર જ્યાં તેઓ વારંવાર દેખા દે છે તેમને પણ વધુ માળખાગત સુવિધાઓથી સજ્જ કરવા અને જળસ્ત્રોત ઉભા કરવા અને કુદરતી વિસ્તાર સમાન રહેણાંક વિસ્તાર પસંદ કરવા વગેરે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ વિવિધ સ્થાનિક વિભાગો અને જનભાગીદારીથી જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી ગીર જંગલ સિવાયનો વિસ્તાર પણ સિંહોનો કાયદેસરનો વિસ્તાર બનશે.
