જામનગરની વિજુને સરકારની RBSK યોજના હેઠળ અમદાવાદમાં બીજુ જીવન મળ્યું
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત વર્ષે ઓક્ટોબર માસમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે બાળ હૃદયરોગની સારવાર માટે નવીનત્તમ સુવિધાઓનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, “ગુજરાતમાં આરોગ્યોદયનો આ અવસર છે.” ભારતની સૌથી મોટી કાર્ડિયોલોજી હોસ્પિટલના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આરોગ્યોદયનો ઉજાસ ગુજરાતના ખૂણે ખૂણે પથરાઇ રહ્યો છે અને તેમાંથી જામનગર પણ બાકાત નથી. જામનગરની માત્ર દોઢ વર્ષની વિજુને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બીજુ જીવન મળ્યું છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના એવા સિંગચ ગામે રહેતા અને સામાન્ય આવક ધરાવતા નારણભાઈ પરમાર પર આભ ફાટી પડ્યું જ્યારે તેમને ખબર પડી કે તેમની દોઢ વર્ષની વ્હાલસોયી દીકરી વિજુના હૃદયમાં કાણું છે અને હૃદયની આ બીમારી એટલી ગંભીર છે કે તે માટેની વધુ સારવાર માટે વિજુને અમદાવાદ ખસેડવી પડશે. ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા વિજુના પિતા નારણભાઈએ જણાવ્યું હતું કે, "જન્મ પછી વિજુને પેટમાં ડાબી તરફ ખાડો પડતો હતો જેની તપાસ કરાવવા અમે હોસ્પિટલ ગયા હતા. ત્યારે ત્યાં હાજર તબીબે જણાવ્યું કે વિજુના હૃદયમાં કાણું છે અને તાત્કાલિક આ અંગેની સારવાર કરાવવી જરૂરી છે. જેથી અમે વધુ સારવાર માટે ખંભાળિયા ત્યારબાદ જામનગર ખાતેની જી.જી. હોસ્પિટલમાં વિજુની આરોગ્ય તપાસણી કરાવી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ તપાસ કરાવતા ત્યાંથી જણાવાયું કે આ ઓપરેશન માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ સાંભળતા અમારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. અમદાવાદ રહેતા અમારા એક સંબંધીએ અમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ કઢાવવાની સલાહ આપી. આ કાર્ડના કારણે અમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહીં અને આવવા જવાના મુસાફરીના ભાડા સાથે સરકારે અમને તદ્દન વિનામૂલ્યે આ ઓપરેશનની વ્યવસ્થા કરી આપી અમારી વિજુનો જીવ બચાવ્યો". હોસ્પિટલ તરફથી તમામ સારવાર-સુવિધાઓ નિશુ:લ્ક પુરી પાડવામાં આવી. ઓપરેશનને એક મહીનો વિત્યો છે અને વીજુ હવે એકદમ સ્વસ્થ છે.આ હોસ્પિટલને આઇ.સી.સી. હેલ્થકેર એક્સેલન્શ એવોર્ડસ, હોસ્પિટલ ઓફ ધ યર જ્યુરી એવોર્ડ, હેલ્થકેર ડિલવરીમાં શ્રેષ્ઠ હોસ્પિટલ, હેલ્થકેર ગુણવતા નિયંત્રણમાં શ્રેષ્ઠ હોસ્પિટલ જેવા એવોર્ડ મળી ચૂક્યા છે. તેઓ ઉમેરે છે કે, જામનગરની વિજુની જેમ હૃદયની ગંભીર બિમારી ધરાવતા દર વર્ષે ૧ હજારથી વધુ બાળકોની અહીં કાર્ડિઆક સર્જરી કરવામાં આવે છે. પિડ્રીયાટ્રીશીયન, ઈન્ટેસ્ટવીસ્ટ અને નર્સિગ સ્ટાફ તદ્ ઉપરાંત નિષ્ણાંત તબીબોની ટીમ, દિન-રાત દર્દીઓની સેવા સુશ્રુષા માટે અહીં ખડે પગે હાજર રહે છે.