ઈઝરાયલ હમાસ યુદ્ધ: હમાસ 50 ઈઝરાયેલી નાગરિકોને મુક્ત કરશે, સંઘર્ષ વિરામ માટે તૈયાર થયું ઈઝરાયલ
Live TV
-
દરરોજ 12-13 લોકોના ગૃપમાં બંધકોને મુક્ત કરવામાં આવશે.
ઈઝરાયલ હમાસ યુદ્ધના 47 દિવસે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલ સરકારની કેબિનેટ બેઠકમાં યુદ્ધવિરામ અંગે કતારના મધ્યસ્થી કરારને મંજૂરી આપવામાં આવી છે. આ ડીલ પછી ગાઝામાં યુદ્ધ થોડા સમય માટે બંધ થઈ જશે. સહમતી કરાર મુજબ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનેલા 50 ઈઝરાયેલી નાગરિકોને મુક્ત કરશે, જેની સામે ઇઝરાયલ અસ્થાયી રૂપે યુદ્ધ બંધ કરશે. જે બંધકોને મુક્ત કરવામાં આવશે તેમાં 20 મહિલાઓ અને 30 બાળકો હશે. દરરોજ 12-13 લોકોના ગૃપમાં બંધકોને મુક્ત કરવામાં આવશે. પ્રતિ 10 બંધકોને મુક્ત કરવાની સામે ઈઝરાયલ એક દિવસનો સંઘર્ષવિરામ કરશે.
ઇઝરાયલ સરકાર તરફથી આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટે એક કરારને મંજૂરી આપી છે, જે હેઠળ ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા ઓછામાં ઓછા 50 બંધકોને મુક્ત કરવામાં આવશે, જેની સામે ચાર દિવસીય યુદ્ધવિરામ થશે. હમાસ જો વધુ 10 નાગરિકોને મુક્ત કરશે તો વધુ એક દિવસ યુદ્ધ વિરામ રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. નિવેદનમાં ઇઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મહત્વનું છે કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી 14 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.
