ઈરાનમાં સ્થિતિ વણસી, ભારતીયોને ઈરાન છોડવા એડવાઝરી જાહેર
Live TV
-
ઈરાનમાં છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાનમાં સર્જાયેલી આ અસ્થિરતા અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને જોતા ભારત સરકારે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી અને કડક 'ટ્રાવેલ એડવાઈઝરી' જારી કરી છે. ભારતે પોતાના નાગરિકોને વહેલી તકે ઈરાન છોડી દેવાની સલાહ આપી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરની મહત્વની મંત્રણા
બુધવારે મોડી સાંજે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે માહિતી આપતા લખ્યું કે, "ઈરાની વિદેશ મંત્રી અરાઘચીનો ફોન આવ્યો હતો. અમે ઈરાન અને તેની આસપાસની બદલાતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે."ભારતીયો માટે મહત્વના નિર્દેશો
ભારતીય દૂતાવાસે જારી કરેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે:દેશ છોડવાની સલાહ: જે ભારતીય વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ કે વેપારીઓ હાલ ઈરાનમાં છે, તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ કે અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક ઈરાન છોડી દે.
મુસાફરી ટાળો: ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની મુસાફરી ન કરવા સખત સૂચના આપવામાં આવી છે.
સાવચેતી: ઈરાનમાં રહેલા ભારતીયો પ્રદર્શન સ્થળોથી દૂર રહે, સ્થાનિક સમાચારો પર નજર રાખે અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે.
દસ્તાવેજો: તમામ ભારતીયોએ પોતાના પાસપોર્ટ અને ઓળખપત્રો હંમેશા સાથે રાખવા.
ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર
ભારતીય દૂતાવાસે કોઈપણ પ્રકારની સહાય માટે નીચે મુજબના હેલ્પલાઈન નંબરો જારી કર્યા છે:મોબાઈલ નંબર્સ: +989128109115, +989128109109, +989128109102, +989932179359
ઈમેલ: cons[dot]tehran[at]mea[dot]gov[dot]in
નોંધણી: જે ભારતીયોએ હજુ નોંધણી કરાવી નથી તેઓ meaers.com/request/home પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે.
ઈરાનમાં સ્થિતિ અત્યંત ગંભીર
અહેવાલો અનુસાર, ઈરાનમાં ચાલી રહેલા આ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 2,000 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે અને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ કરી દેવામાં આવી છે. અમેરિકાએ પણ પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા અને આર્મેનિયા કે તુર્કીના માર્ગે નીકળી જવા જણાવ્યું છે.
