જયશંકરે ફ્રાન્સમાં G7 વિદેશ મંત્રીઓ સાથે વૈશ્વિક શાસનમાં સુધારા અંગે કરી ચર્ચા
Live TV
-
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફ્રાન્સમાં હાલમાં ચાલી રહેલી G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે 'રિફોર્મિંગ ગ્લોબલ ગવર્નન્સ' વિષય પર કેન્દ્રિત એક સત્રને સંબોધિત કર્યું હતું. ભારત G7નું સભ્ય ન હોવા છતાં, આ કાર્યક્રમના યજમાન તરીકે ફ્રાન્સે ભારતને આમંત્રણ આપ્યું હતું. ફ્રાન્સના આમંત્રણના જવાબમાં જયશંકર ગઈકાલે(26 માર્ચ) રવાના થયા હતા. આ બેઠક રાજધાની પેરિસ નજીક સ્થિત વોક્સ-ડી-સેર્ને એબી ખાતે યોજાઈ રહી છે.
મીટિંગના ફોટોગ્રાફ્સ શેર કરતા અને 'X' પર પોતાની ભાગીદારી વિશે પોસ્ટ કરતા જયશંકરે લખ્યું કે, "G7 વિદેશ મંત્રીઓની મીટિંગમાં સત્ર દરમિયાન મેં વૈશ્વિક શાસનમાં સુધારાના વિષય પર આમંત્રિત ભાગીદારો સાથે ચર્ચા કરી હતી. મેં UNSCની અંદર સુધારાઓની તાકીદ, શાંતિ જાળવણી કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને માનવતાવાદી પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'મેં ગ્લોબલ સાઉથ સામે ઉર્જા પડકારો, ખાતર પુરવઠો અને ખાદ્ય સુરક્ષા મુદ્દાઓ અંગે ચિંતાઓ વ્યક્ત કરી." ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ પહોંચ્યા પછી જયશંકરનું દેશના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
