નેપાળમાં આવેલા ભૂંકપે ભારે તબાહી મચાવી, મૃત્યુઆંક વધીને 154 પહોંચ્યો
Live TV
-
ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં ભૂકંપમાં 100 લોકોના મોત થયા છે, જ્યારે નજીકના જિલ્લા પશ્ચિમ રૂકુમમાં 38 લોકોના મોત થયા છે.
ગઈ કાલે મોડી રાત્રે નેપાળમાં આવેલા ભૂંકપે ભારે તબાહી મચાવી છે. નેપાળમાં 6.4 તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારત ધરાશાયી થઈ છે અને અત્યારે સુધીમાં આ ભૂકંપથી મૃત્યુ આંક વધીને 154 પર પહોંચ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભૂકંપને કારણે મોટાભાગના લોકોની મોત રૂકુમ પશ્ચિમ અને ઝાઝરકોટમાં થઈ છે. નેપાળના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, અન્ય જિલ્લાઓમાં પણ ઘણા લોકોના ઘાયલ થવાની માહિતી મળી રહી છે. અધિકારીઓના અનુસાર, મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ભૂકંપના ઝડટા પૂર્વથી ઉત્તર ભારત સુધી અનુભવાયા હતાં. દિલ્હી-NCRમાં ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નેપાળમાં આવેલા ભૂકંપને લીધે થયેલી જાનહાનિ અને નુકસાનથી હું ખૂબજ દુ:ખી છું અને ભારત નેપાળને તમામ શક્ય સહાયતા આપવા માટે તૈયાર છે.
ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં ભૂકંપમાં 100 લોકોના મોત થયા છે, જ્યારે નજીકના જિલ્લા પશ્ચિમ રૂકુમમાં 38 લોકોના મોત થયા છે. જાજરકોટમાં 81 અને પશ્ચિમ રૂકુમમાં 85 જેટલા લોકો ઘાયલ થયા છે. આંચકાથી સેંકડો ઘરો ધરાશાયી થયા છે.
નેપાળ સરકારે રાહત વિતરણની એક-બાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ધાબળો, તાડપત્રી અને ખાદ્ય સામગ્રી જેવી તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવી હતી. વાહનવ્યવહારને સરળ બનાવવા માટે માર્ગ વિભાગને તાત્કાલિક માર્ગ અવરોધ દૂર કરવા જણાવાયું હતું. તદુપરાંત, આરોગ્ય અને તબીબી વ્યક્તિઓની વિવિધ ટીમો દવાઓ સાથે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ હતી. આરોગ્ય અને વસ્તી મંત્રી, મોહન બહાદુર બસનેતે કહ્યું છે કે, જાજરકોટ અને રુકુમ પશ્ચિમ જિલ્લામાં થયેલા ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને સરકાર મફત સારવાર આપશે.
નેપાળમાં ભારતીય દૂતાવાસે નેપાળમાં તાજેતરના ભૂકંપને કારણે સહાયની જરૂર હોય તેવા ભારતીયો માટે ઇમરજન્સી સંપર્ક નંબર 977-9851316807 ઓફર કર્યો હતો.
