ફરી એકવાર ચૂંટણીને લઈ ઈઝરાયેલના લોકો પ્રધાનમંત્રી નેતન્યાહુના વિરોધમાં રસ્તા પર ઉતર્યા
Live TV
-
6 એપ્રિલે ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શન કર્યું હતું
ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના 6 મહિના સુધી ચાલેલા યુદ્ધ વચ્ચે 6 એપ્રિલે મોટી સંખ્યામાં ઈઝરાયેલના નાગરિકોએ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન નેતન્યાહુના રાજીનામા અને દેશમાં વહેલી ચૂંટણીની માંગ કરી રહ્યા છે. વિરોધીઓએ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને મુક્ત કરવાની હાકલ કરી હતી. તો આજરોજ વિરોધીઓ ફરીથી શેરીઓમાં ઉતરશે અને જેરુસલેમમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે 7 એપ્રિલ બાદ ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલનું યુદ્ધ સાતમા મહિનામાં પ્રવેશ્યું છે. આ સાથે નેતન્યાહુ સરકારનો વિરોધ તેજ થઈ રહ્યો છે. 6 એપ્રિલે ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શન કર્યું હતું. વિરોધીઓ હવે વહેલી ચૂંટણીની માગ કરી રહ્યા છે. આ માગને લઈને રાજધાની સહિત અન્ય ઘણા શહેરોમાં રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને નેતન્યાહુના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ઇઝરાયેલના વિપક્ષી નેતા યાયર લેપિડે આવી જ એક રેલીમાં ભાગ લીધો હતો અને વિરોધીઓને સંબોધતા કહ્યું હતું કે, જ્યાં સુધી અમે તેમને ઘરે નહીં મોકલીએ ત્યાં સુધી તેઓ આ દેશને આગળ વધવા દેશે નહીં. ઇઝરાયેલના આંકડાઓ અનુસાર, હમાસના હુમલામાં દક્ષિણ ઇઝરાયેલમાં 1,170 લોકો માર્યા ગયા હતા. જેમાં મોટાભાગના નાગરિકો હતા. હમાસ દ્વારા સંચાલિત પ્રદેશના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હમાસ સામે ઇઝરાયેલના વળતા હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 33,137 લોકો માર્યા ગયા છે. 7 ઓક્ટોબરે આતંકવાદીઓએ લગભગ 250 ઈઝરાયેલ અને વિદેશી નાગરિકોને બંધક બનાવ્યા હતા. સેનાનું કહેવું છે કે ગાઝામાં હજુ પણ 129 લોકો કેદ છે, જેમાં 34 લોકો મૃત હોવાનું માનવામાં આવે છે.