બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ 12 ફેબ્રુઆરીએ યોજાશે: મુખ્ય સલાહકાર પ્રો.યુનુસ
Live TV
-
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે, સામાન્ય ચૂંટણીઓ સમયપત્રક મુજબ જ યોજાશે. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય ચૂંટણીઓ 12 ફેબ્રુઆરીએ યોજાશે અને સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. પ્રોફેસર યુનુસે સોમવારે દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના ખાસ દૂત સર્જિયો ગોર સાથે ટેલિફોન વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
મુખ્ય સલાહકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "X" પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરીને જણાવ્યું હતું કે, દેશના લોકો લાંબા સમયથી તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે રાહ જોઈ રહ્યા છે. જે પાછલી સરમુખત્યારશાહી સરકારે તેમની પાસેથી છીનવી લીધો હતો. વચગાળાની સરકારનું લક્ષ્ય લોકશાહી પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ મજબૂત કરવા માટે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવાનું છે.
યુનુસે જણાવ્યું હતું કે, વાતચીત ઢાકા સમય મુજબ સાંજે 7:30 વાગ્યે થઈ હતી અને લગભગ અડધો કલાક ચાલી હતી. ચર્ચામાં મુખ્ય મુદ્દાઓમાં બાંગ્લાદેશ-યુએસ વેપાર અને ટેરિફ કરાર, આગામી ચૂંટણીઓ, બાંગ્લાદેશનું લોકશાહી સંક્રમણ અને યુવા રાજકીય કાર્યકર શરીફ ઉસ્માન હાદીની હત્યાનો સમાવેશ થાય છે.
અમેરિકાના ખાસ દૂત સર્જિયો ગોરે તાજેતરની ટેરિફ વાટાઘાટોમાં પ્રોફેસર યુનુસના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, આ પ્રયાસોને કારણે અમેરિકાએ બાંગ્લાદેશી ઉત્પાદનો પર પારસ્પરિક ટેરિફ ઘટાડીને 20 ટકા કર્યો હતો, જે બાંગ્લાદેશ માટે એક મોટી રાજદ્વારી અને આર્થિક સફળતા માનવામાં આવે છે.
મુખ્ય સલાહકારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પદભ્રષ્ટ સરમુખત્યાર શાસનના સમર્થકો ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે મોટી રકમ ખર્ચ કરી રહ્યા છે, જ્યારે તેમના ભાગેડુ નેતા હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, તેમણે ખાતરી આપી હતી કે વચગાળાની સરકાર કોઈપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
પ્રોફેસર યુનુસે કહ્યું કે, 'ચૂંટણી માટે લગભગ 50 દિવસ બાકી છે. અમે ઇચ્છીએ છીએ કે, આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રહે અને તેને એક ઉદાહરણ તરીકે યાદ રાખવામાં આવે.' વાતચીત દરમિયાન વાણિજ્ય સલાહકાર શેખ બશીરુદ્દીન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડૉ. ખલીલુર રહેમાન અને SDG સંયોજક અને વરિષ્ઠ સચિવ લામિયા મોર્શેદ પણ હાજર હતા.
