મોરેશિયસના પીએમ રામગુલામ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત, દ્વિપક્ષીય સહયોગ અને વિકાસ પર કરી ચર્ચા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે(28 જૂન) સેશેલ્સની રાજધાનીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત કરી અને તેમના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી. નવેમ્બર 2024માં રામગુલામે પદભાર સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીની તેમની સાથેની આ ચોથી મુલાકાત હતી.
વિદેશ મંત્રાલમે જણાવ્યું હતું કે, સેશેલ્સના ગોલ્ડન જ્યુબિલી નેશનલ ડેની ઉજવણીના પ્રસંગે મળેલી આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ ભારત-મોરેશિયસ 'એન્હાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' (વધારે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી)ના વિવિધ પાસાઓ જેમાં વિકાસલક્ષી સહકાર, દરિયાઈ સુરક્ષા, વેપાર, ક્ષમતા નિર્માણ અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે તેની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ તેમના ચાલુ દ્વિપક્ષીય સહકાર પર ચર્ચા કરી અને ભારત દ્વારા આપવામાં આવેલા 'સ્પેશિયલ ઇકોનોમિક પેકેજ'ના અમલીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી.
વિદેશ મંત્રાલયે 'X' પર જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી મોદીએ મોરેશિયસના વિકાસ અને પ્રગતિ માટે ભારત દ્વારા આપવામાં આવતા મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ચાલી રહેલા દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સ મોરેશિયસના આરોગ્ય સેવા, કનેક્ટિવિટી, ટકાઉ વિકાસ અને બ્લૂ ઇકોનોમીમાં યોગદાન આપશે. બંને પ્રધાનમંત્રીઓએ ભારતની 'MAHASAGAR' (સિક્યોરિટી એન્ડ ગ્રોથ એક્રોસ રીજીયન) વિઝન અને 'નેબરહુડ ફર્સ્ટ' પોલિસી અંતર્ગત ભારત-મોરેશિયસ એન્હાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના મહત્વ પર સહમતી વ્યક્ત કરી હતી અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી."
બંને નેતાઓએ પરસ્પર વિકાસ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવાની પુનઃ પુષ્ટિ કરી હતી. એપ્રિલમાં, વિદેશ મંત્રી એસ. જયશંકરે મોરેશિયસમાં પ્રથમ સમર્પિત 'રેનલ ટ્રાન્સપ્લાન્ટ યુનિટ'ના ઉદ્ઘાટન માટે મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે બંને દેશો વચ્ચે આરોગ્ય ક્ષેત્રે ચાલી રહેલો સહકાર વધુ વિસ્તારવામાં આવશે.
મોરેશિયસની જવાહરલાલ નેહરુ હોસ્પિટલમાં રેનલ ટ્રાન્સપ્લાન્ટ યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં, વિદેશ મંત્રી જયશંકરે ભારત અને મોરેશિયસના સહિયારા ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી મોદી તરફથી મોરેશિયસના લોકોને હૂંફાળા અભિવાદનનો સંદેશ પણ આપ્યો હતો.
વિદેશ મંત્રીએ પોતાની વાતમાં નોંધ્યું હતું કે, "..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કહે છે કે મોરેશિયસ માત્ર એક ભાગીદાર નથી, મોરેશિયસ આપણા પરિવારનો ભાગ છે. અને હું આ મુલાકાત માટે નીકળ્યો તે પહેલાં, તેમણે મને વ્યક્તિગત રીતે આપ સૌને તેમનો હૂંફાળો સંદેશ આપવા કહ્યું હતું કે આ માત્ર એક રાજદ્વારી સંબંધ નથી, પરંતુ 'એ દિલ કા રિશ્તા' છે, જે માત્ર શબ્દોમાં જ નહીં પણ અર્થપૂર્ણ કાર્યોમાં પણ પ્રતિબિંબિત થાય છે."
