અયોધ્યામાં ફરી ઇતિહાસ રચાશે: રામ મંદિરમાં 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના
Live TV
-
અયોધ્યામાં ફરી ઇતિહાસ રચાશે: રામ મંદિરમાં 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના
રામનગરી અયોધ્યા વધુ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણની સાક્ષી બનવા સજ્જ થઈ છે. ચૈત્ર નવરાત્રી અને હિન્દુ નવા વર્ષના પવિત્ર અવસરે, અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં "શ્રી રામ યંત્ર" ની વિધિવત સ્થાપના કરવામાં આવશે. આ ગરિમાપૂર્ણ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને યંત્રની પૂજા-અર્ચના કરશે.
વૈદિક વિજ્ઞાન અને સ્થાપત્યનો સંગમ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ 'શ્રી રામ યંત્ર' અત્યંત વિશિષ્ટ છે. તે વૈદિક ગણિત અને ભૌમિતિક રચના પર આધારિત છે. આ પવિત્ર યંત્રને મંદિરના બીજા માળે સ્થાપિત કરવામાં આવશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ, યંત્રને દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે, જે સકારાત્મક ઉર્જા અને દિવ્ય સ્પંદનો આકર્ષિત કરે છે.
અભિજીત મુહૂર્તમાં સ્થાપના
યંત્રની સ્થાપના માટેનો સમય પણ અત્યંત શુભ પસંદ કરવામાં આવ્યો છે.આ માટે 19 માર્ચ, 2026 (ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ) "અભિજીત મુહૂર્ત" સવારે 11:55 વાગ્યે નક્કી કરવામાં આવ્યું છે.
7 હજાર મહાનુભાવોની ઉપસ્થિતિ
આ આધ્યાત્મિક મહોત્સવમાં દેશભરમાંથી આશરે 7,000 જેટલા પ્રતિષ્ઠિત મહેમાનો, સાધુ-સંતો અને રામભક્તો સહભાગી થશે. રાષ્ટ્રપતિની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન મંદિર નિર્માણમાં યોગદાન આપનારા શ્રમિકોનું પણ સન્માન કરવામાં આવે તેવી શક્યતા છે.
ચુસ્ત સુરક્ષા અને ભવ્ય તૈયારીઓ
રાષ્ટ્રપતિના આગમનને પગલે અયોધ્યામાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે અને મહેમાનો માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ પ્રસંગે દક્ષિણ ભારત, કાશી અને અયોધ્યાના વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે વૈદિક વિધિઓ સંપન્ન કરવામાં આવશે.
