ઉત્તર પ્રદેશ ATS દ્વારા એક મોટા ષડયંત્રનો પર્દાફાશ
Live TV
-
દેશમાં મોટી આતંકી ઘટનાના કાવતરાનો પર્દાફાશ કરતાં યુપી ATSને લખનઉમાં મોટી સફળતા મળી છે. ATS દ્વારા ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય લખનઉના ચારબાગમાં બ્લાસ્ટ કરવા આવ્યા હતા, પરંતુ તે પહેલા જ ATSએ તેમને ઝડપી પાડ્યા હતા. આ પૈકી બે આતંકીઓ મેરઠના અને બે નોઈડાના રહેવાસી છે. ધરપકડ કરાયેલા તમામ આતંકીઓ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા.
લખનઉના ચારબાગમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનો હતો
ધરપકડ કરાયેલા આતંકીઓમાં મુખ્ય આરોપી નાઈ તરીકે કામ કરતો હતો, જે તેની આડમાં દેશ વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો. ATSને આતંકીઓ લખનઉમાં હોવાની માહિતી મળતા જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચારેય આતંકીઓની ધરપકડ દરમિયાન ATSએ તેમની પાસેથી એક કેન જ્વલનશીલ પદાર્થ, સાત સ્માર્ટફોન, 24 પત્રિકાઓ અને આધાર કાર્ડ જપ્ત કર્યા છે.
રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ
ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું કે, દેશમાં દહેશત ફેલાવવાની તૈયારીમાં લાગેલા મેરઠના અગવાનપુર ગામ, પરીક્ષિતગઢ વિસ્તારના સાકિબ ઉર્ફે ડેવિડ (25), મેરઠના અરબાબ (20), ગૌતમબુદ્ધ નગરના રામ વિહાર નિવાસી વિકાસ ગહલાવત ઉર્ફે રૌનક (27) અને રામ વિહાર કોલોની ગૌતમબુદ્ધ નગરના જ લોકેશ ઉર્ફે પોપલા પંડિત ઉર્ફે બાબુ ઉર્ફે સંજુ (19) ને શુક્રવારે લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી છે.
