કર્ણાટકમાં 12 મે ચૂંટણી, ચૂંટણી પ્રચાર અંતીમ તબક્કામાં
Live TV
-
કર્ણાટકમાં 12 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે વિવિધ પક્ષોનું પ્રચારયુદ્ધ તેજ બન્યું છે.
કર્ણાટકમાં 12 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે વિવિધ પક્ષોનું પ્રચારયુદ્ધ તેજ બન્યું છે. ભાજપ, કર્ણાટકમાં કમળ ખિલવવા માટે એડી ચોડીનું જોર લગાવી રહી છે. પ્રધાનમંત્રી આજે વાંગરપેટ, ચંકમંગલૂરુ, બેલાગાવી અને બિદર એમ ચાર સ્થળોએ જનસભાઓને સંબોધન કરશે. ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ જનસભા અને રેલીઓ યોજશે. ગઇકાલે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કોંગ્રેસની ભ્રષ્ટાચાર અને ભાગલાવાદી નીતિ પર પ્રહાર કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કર્ણાટકમાં રેલીઓ યોજશે અને સભાઓને સંબોધન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ પોતાને 2019મા પીએમ પદના દાવેદાર ગણાવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર કર્ણાટક પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાનો આરોપ લગાવ્યો હતો.
કર્ણાટક ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ આરોપ-પ્રતિઆરોપની ગરમી વધી રહી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સદાનંદ દેવગૌડાએ ટ્વીટ કરીને કર્ણાટકમાં સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસ પર, ચૂંટણીમાં સત્તાના દુરુપયોગનો આક્ષેપ લગાવ્યો હતો. પોતાના ટ્વીટમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના ધારાસભ્ય મનીનાથન નાયડૂ, મનસ્વી રીતે સત્તા ચલાવી રહયા છે, પરંતુ અમે કોંગ્રેસને ગુંડારાજ ચલાવવાની મંજૂરી નહી આપીએ. આ કોંગ્રેસ ઉમેદવારના કબજામાં 20 હજારથી વધારે વોટર આઈડી છે, મને ખાનગી રીતે જાણ થઈ છે કે, કોંગ્રેસ લોકતંત્રમાં ગેરરીતિ આચરી રહી છે. અમે આ ગેરરીતિની તપાસની માગ કરીએ છીએ. ભાજપના આ આરોપ અંગે મંગળવારે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
