કેન્દ્રીયમંત્રી થાવરચંદ ગેહલોતે સીએસઆરનો ઉપયોગ પણ દિવ્યાંગોના કલ્યાણ માટે કરવા કરી અપીલ
Live TV
-
કોઈ ધંધાદારી કોઈ દિવ્યાંગજનને એપ્રેન્ટિસ તરીકે નોકરી આપશે અને બાદમાં તેમને કાયમી કરી દેશે તો તે કર્મચારીનો ESI અને પ્રોવિડન્ટ ફંડ પેટે ચૂકવવો પડતો ખર્ચ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ઉઠાવશે
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે જો કોઈ ધંધાદારી કોઈ દિવ્યાંગજનને એપ્રેન્ટિસ તરીકે નોકરી આપશે અને બાદમાં તેમને કાયમી કરી દેશે તો તે કર્મચારીનો ESI અને પ્રોવિડન્ટ ફંડ પેટે ચૂકવવો પડતો ખર્ચ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ઉઠાવશે. તેમણે જણાવ્યું હતું કે આ ખર્ચની મર્યાદા જે પહેલાં 25 હજાર હતી તેને પણ હવે દૂર કરી દેવામાં આવી છે. તેમણે ધંધાદારીઓને સીએસઆરનો ઉપયોગ પણ દિવ્યાંગોના કલ્યાણ માટે કરવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી ગઈકાલે અમદાવાદ ખાતે VOSAP એનજીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.VOSAP એનજીઓ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓને અમદાવાદ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી અને કેન્દ્રીય મંત્રી શ્રી થાવર ચંદ ગેહલોતે પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. શ્રી ગેહલોતે જણાવ્યું હતું કે આ વિજેતા નિબંધોનો મંત્રાલય સદુપયોગ કરશે. તેમણે એનજીઓની મોબાઈલ એપ્લિકેશન VOSAPમાં કેન્દ્ર સરકારની દિવ્યાંગો માટેની યોજનાઓનો સમાવેશ કરવા માટે પણ અપીલ કરી હતી. લોકભાગીદારી વગર કોઈપણ યોજનાનો અમલ કરવો મુશ્કેલ બની જાય છે એમ જણાવી, તેમણે ઉપસ્થિત લોકોને આ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી દિવ્યાંગો માટેની યોજનાઓનો પ્રચાર કરવા માટે અનુરોધ કર્યો હતો.
