કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ચોમાસામાં ડેન્ગ્યુ નિવારણના વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરી
Live TV
-
ચોમાસામાં મચ્છરજન્ય રોગોના નિવારણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ બુધવારે ડેન્ગ્યુના નિવારણ અને વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય પ્રણાલીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં આરોગ્ય મંત્રીને દેશભરમાં ડેન્ગ્યુની સ્થિતિ અંગેની તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે, ધ્યાન કેન્દ્રિત, સમયસર અને સહયોગી પ્રવૃત્તિઓના પરિણામે ડેન્ગ્યુના કેસમાં મૃત્યુદર 3.3 ટકા (1996) થી ઘટીને 2024 માં 0.1 ટકા થયો છે.
ચોમાસાની શરૂઆત અને વરસાદની ઋતુ દરમિયાન ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં વધારો થવાના જોખમને કારણે જે પી નડ્ડાએ ડેન્ગ્યુ સામે તૈયાર રહેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને ડેન્ગ્યુ સામે નિવારણ અને વ્યવસ્થાપનના પગલાં મજબૂત કરવા નિર્દેશ આપ્યો હતો. જેપી નડ્ડાએ અધિકારીઓને મુખ્યત્વે ઉચ્ચ બોજવાળા રાજ્યો અને એવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી જ્યાં રોગચાળો વારંવાર નોંધાય છે. તેમણે અધિકારીઓને ડેન્ગ્યુ નિવારણ પર નક્કર પરિણામો લાવવા માટે રાજ્યો સાથે સક્રિયપણે કામ કરવા વિનંતી કરી.
તેમણે ખાસ કરીને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD), શિક્ષણ મંત્રાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશનો અને સ્થાનિક સ્વરાજ્ય મંત્રાલય સાથે સંકળાયેલી આંતર-મંત્રાલય સંકલન બેઠક પર ભાર મૂક્યો હતો.
ડેન્ગ્યુના નિવારણ અને નિયંત્રણ માટેઅધિકારીઓને 24/7 સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર બનાવવાની સૂચના આપી. આ સાથે રાજ્યોને સમાન સહાય માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવાની સલાહ આપવામાં આવી હતી. હોસ્પિટલોને સંપૂર્ણ પ્રશિક્ષિત સ્ટાફ અને દવાઓ સાથે સમર્પિત ડેન્ગ્યુ વોર્ડની ખાતરી કરવા જણાવ્યું હતું.
