ગુજરાતમાં જમીન ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી અદાણી પોર્ટ્સને મોટી રાહત
Live TV
-
અદાણી જૂથને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો જેમાં રાજ્ય સરકારને અદાણી પોર્ટ્સ અને સેઝને ફાળવવામાં આવેલી 108 હેક્ટર જમીન પાછી લેવા જણાવ્યું હતું.
જસ્ટિસ બી.આર. ગવઇ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા લગભગ 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે હવે આ મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
આ જમીન કચ્છ જિલ્લામાં મુન્દ્રા બંદર પાસે આવેલી છે. આ મામલો 2005નો છે, જ્યારે અદાણી પોર્ટ્સને 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. 2010 માં, જ્યારે અદાણી પોર્ટ્સે જમીન પર ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું, ત્યારે ત્યાંના નવીનલ ગામના લોકોએ અદાણી પોર્ટ્સને 231 હેક્ટર ગોચરની જમીનની ફાળવણીને પડકારતી જાહેર હિતની અરજી (PIL) હાઈકોર્ટમાં દાખલ કરી હતી. તેઓએ દલીલ કરી હતી કે, ગામમાં ચરાણની જમીનની અછત છે અને આ ફાળવણીથી તેમની પાસે માત્ર 45 એકર જમીન રહી જશે.
2014 માં, રાજ્ય સરકારે કહ્યું હતું કે, તેમને 387 હેક્ટર સરકારી જમીન ચરાવવા માટે આદેશ આપ્યો છે તે પછી કોર્ટે કેસનો નિકાલ કર્યો.
ત્યારબાદ 2015માં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી અને કોર્ટને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતને ફાળવવા માટે માત્ર 17 હેક્ટર જમીન જ ઉપલબ્ધ છે. તેણે દરખાસ્ત કરી હતી કે તે અહીંથી લગભગ 7 કિલોમીટર દૂર બાકીની જમીન ફાળવી શકે છે. ગામલોકોએ તેને નકારી કાઢ્યું અને કહ્યું કે તે ઢોર ચરવા માટે ખૂબ દૂર છે.
આ વર્ષે એપ્રિલમાં કોર્ટે વરિષ્ઠ મહેસૂલ અધિકારીને ઉકેલ શોધવા કહ્યું હતું. અધિકારીએ જવાબ આપ્યો કે, રાજ્ય સરકારે હવે 2005માં અદાણી પોર્ટ્સને ફાળવેલી લગભગ 108 હેક્ટર જમીન પાછી લેવાનો નિર્ણય કર્યો છે.
