કોવિડ પીડિત પરિવારોને વળતર ચૂકવણી માટે માર્ગદર્શિકા ઘડવા સર્વોચ્ચ અદાલતનો કેન્દ્રને નિર્દેશ
Live TV
-
સુપ્રિમ કોર્ટે આજે રાષ્ટ્રીય આફત વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ)ને આદેશ આપ્યો છે કે કોવિડમાં અવસાન પામેલી વ્યક્તિઓના પરિવારના સભ્યોને વળતરની ચૂકવણી માટે માર્ગદર્શિકા બનાવે. ન્યાયાધીશ અશોક ભૂષણના અધ્યક્ષપદે ત્રણ ન્યાયાધીશની ખંડપીઠે એક ચેતવણી આપી છે કે કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને વળતર ચૂકવણી કરી શકાય તે માટે છ અઠવાડિયામાં જવાબ રજૂ કરે. કોર્ટ દ્વારા કોરોનાનો શિકાર બનેલા તમામ લોકોના પરિવારોને દરેકને ચાર લાખ રૂપિયાની સહાય આપવા અંગેની અરજીના જવાબમાં આ સ્પષ્ટતા માંગવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકારે સોગંદનામા દ્વારા રજૂ કર્યું હતું કે રાજ્ય સરકારો આ ચૂકવણી કરી શકે તેમ નથી.
આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર ખુદ કોઈ ગાઈડલાઇન તૈયાર કરે. એનડીએમએ પીડિત પરિવારને કેટલી રકમની આર્થિક સહાય મળવી જોઈએ તે નક્કી કરે. કોરોનાથી મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય આપવામાં આવે તે અંગેની અરજીના સંદર્ભેમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ અગાઉ કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, આ મામલો ફક્ત પૈસાનો નથી, પરંતુ સંસાધનોના તર્ક સંગત અને વિવેક પૂર્ણ ઉપયોગનો છે. જો રાજ્યોને દરેક મોત માટે ચાર લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ કરવામાં આવે તો તેમની આપત્તિ વ્યવસ્થા ફંડ ખતમ થઈ જશે. જેના કારણે કોરોનાનો સામનો કરવા ઉપરાંત ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી આવતી કુદરતી આપત્તિઓ સામે લડવું મુશ્કેલ બની જશે.