ગુજરાતના સ્થાપનાદિને વિવિધ મહાનુભાઓ પાઠવી શુભેચ્છાઓ
Live TV
-
આજે ગુજરાતનો સ્થાપનાદિન છે જે સંદર્ભે વિવિધ મહાનુભાવોએ ગુજરાતને શુભેચ્છાઓ પાઠવતા પોતાની પ્રતિક્રિયાઓ અને ઉમળકો વ્યક્ત કર્યો હતો. આજના આ અવસરે રાષ્ટ્રપતિએ દેશના તમામ રહેવાસીઓને હાર્દિક શુભકામના પાઠવી. આ સાથે તેમણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કરી ગુજરાતની ધરાને મહાન હસ્તીઓની ભૂમિ ગણાવી હતી. અને આ સાથે જ ગુજરાતનાં ઉદ્યમી અને પ્રગતિશીલ લોકોએ દેશના વિકાસમાં મહત્વના યોગદાનને બિરદાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વિટ કરીને ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે ગુજરાતે તેના સર્વાંગી વિકાસની સાથેસાથે આગવી સંસ્કૃતિને કારણે વિશ્વમાં અનન્ય ઓળખ ઊભી કરી છે તેમજ આગામી વર્ષોમાં ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી પણ પ્રાર્થના કરી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજના દિવસે ગુજરાતવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે આફતોને પણ અવસરમાં બદલીને ગુજરાત શાંતિ, શક્તિ અને સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનો પર્યાય બન્યાનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાપનાદિને રાજ્યની સ્થાપનમાં અને ગૌરવવંતા વિકાસમાં યોગદાન આપનાર પ્રત્યેક નાગરિકને કૃતજ્ઞતા સહ વંદન પાઠવ્યા હતા.
રેલ અને કાપડમંત્રી દર્શનાબેન ઝરદોશે જણાવ્યું કે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને ખુમારીને વિશ્વભરમાં ખ્યાતિ અપાવનાર ગુર્જરધરાને કોટિ કોટિ વંદન કરીએ છીએ.
આ ઉપરાંત, શંકર ચૌધરી, પ્રફુલ્લ પટેલ, વિજય રૂપાણી, ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓએ ગુજરાતની ગાથાને યાદ કરી શુભેચ્છા સંદેશા પાઠવ્યા હતા.
