ટીકા ઉત્સવ - કોરોના સામેના ખાસ રસીકરણ અભિયાનની આજથી શરૂઆત
Live TV
-
કોરોનાના વધતા સંક્રમણ પર નિયંત્રણ મેળવવા પર આજથી દેશભરમાં ચાર દિવસીય ટીકા ઉત્સવનું આયોજન. દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું કોરોના રસીકરણ અભિયાન, ગત 85 દિવસમાં 10 કરોડથી વધુ વ્યક્તિઓને અપાઈ કોરોના વિરોધી રસી
આજથી દેશભરમાં 'ટીકા ઉત્સવ' શરૂ થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત દેશમાં આગામી 4 દિવસ એટલે કે આગામી 14 એપ્રિલ સુધી લોકોને રસી આપવામાં આવશે. આ ટીકા ઉત્સવ આજે સમાજ સુધારક જ્યોતિબા ફૂલેની જન્મ જયંતીના દિવસે શરુ થશે અને 4 દિવસ બાદ ભારતનું બંધારણ ઘડનાર ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ સુધી ચાલુ રહેશે. દેશમાં છેલ્લા કેટલાંક અઠવાડિયાઓથી કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની ગંભીરતાને ધ્યાને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સામુહિક રસીકરણ કાર્યક્રમનુ આહવાન કર્યુ હતુ. આ માટે લોકો આરોગ્ય સેતુ એપ તેમજ રસીકરણ કેન્દ્રો પર જઇ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વધતા જતા સંક્રમણને ધ્યાને લઇ કોરોના રસીકરણ અભિયાનમાં પણ ગતી લાવવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા 85 દિવસમાં 10 કરોડથી પણ વધુ વ્યક્તિઓને કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવામાં આવી છે.
