તેલંગાણામાં આબોહવાને અનુકૂળ ખેતી આધારિત જી-20 ટેકનિકલ વર્કશોપ શરૂ થયા
Live TV
-
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ આજે હૈદરાબાદમાં શમશાદ ખાતે આબોહવાને અનુકૂળ કૃષિ પર ત્રણ દિવસીય G-20 ટેકનિકલ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું. G-20 દેશોના 100 થી વધુ પ્રતિનિધિઓ અને આમંત્રિત દેશો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
આ અવસરે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જળવાયુ પરિવર્તનના કારણે વિકાસના માર્ગમાં અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે. શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર સૌથી સંવેદનશીલ હોવાને કારણે આબોહવા પરિવર્તનથી ખૂબ પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે હવામાન પરિવર્તનની અસર ખેતી પર પહેલેથી જ જોવા મળી રહી છે. તેઓએ વધુમાં ઉમેરતા કહ્યું કે, આબોહવાના જોખમો સામે અનુકૂલનનાં સાધનો વાપરીને સામનો કરી શકાય છે, જે ટૂંકા ગાળામાં ફાયદાકારક બની શકે છે અને આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોને પણ ઘટાડી શકે છે. શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ પર નેશનલ એક્શન પ્લાન, ક્લાઈમેટ ચેન્જના સંદર્ભમાં ચાવીરૂપ ધ્યેયો હાંસલ કરવા માટે લાંબા ગાળાની અને સંકલિત વ્યૂહરચના સાથે નેટવર્ક પ્રોજેક્ટ જેવી અનેક પહેલો શરૂ કરવામાં આવી છે.
આ બેઠકમાં કૃષિ સંશોધનના વિવિધ મુદ્દાઓ, મુખ્યત્વે આબોહવા પરિવર્તન અને અન્ય તકનીકો તેમજ વૈશ્વિક સંદર્ભમાં કૃષિના ટકાઉ વિકાસ માટેની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. મહાનુભાવો દેશની સિદ્ધિઓ અને કૃષિના પડકારોનો સામનો કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે પણ ચર્ચા કરશે.
