દિલ્હીના જૈતપુરમાં ભારે વરસાદને કારણે સમાધી સ્થળની દિવાલ ધરાશાયી, 7ના મૃત્યુ
Live TV
-
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી..ભારે વરસાદને કારણે દિલ્હીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
દિલ્હીમાં ભારે વરસાદના કારણે જૈતપુર વિસ્તારમાં એક સમાધિ સ્થળની દીવાલ તૂટી પડી.હરિનગરના બાબા મોહનરામ મંદિર પાસે થયેલી દુર્ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા. સુચના મળતા દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે રાહત અને બચાવ કામગીરી કરી. કાટમાળ હેઠળ દબાયેલા 7 લોકોનું મોત થયું છે. ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્સના ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ટીમ દ્વારા લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.
અકસ્માત બાદ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં આવી: DCP
દક્ષિણ પૂર્વના DCPએ કહ્યું હતું કે, 10-15 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીમાં દિવાલ ધરાશાયી થઇ હતી. તેમણે કહ્યું કે, અહીં મોટાભાગના ભંગારના વેપારીઓ રહેતા હતા. દિવાલ પડવાથી આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. શરૂઆતની તપાસના આધારે તેમણે કહ્યું કે, ભારે વરસાદને કારણે દિવાલ પડી હતી. દિવાલનો પાયો નબળો હતો.અકસ્માત બાદ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં આવી છે.
ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા
દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના સંબંધીઓના ઘરે જઈ રહ્યા હતા, પરંતુ વરસાદ અને જામને કારણે તેમને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો.
