દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો; છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,968 નવા કેસ
Live TV
-
દેશભરમાં કોરોનાના કેસો અને સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 19,968 નવા કેસ નોંધાયા છે. જેની સામે છેલ્લા 24 કલાકમાં 48,847 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે, તેમજ 673 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. દેશમાં હાલ સક્રિય કેસની સંખ્યા 2,24,187 એ પહોંચી છે. દેશભરમાં અત્યારસુધીમાં કુલ 4,20,86,383 દર્દીઓએ સફળતા પૂર્વક કોરોના મહામારીને મ્હાત આપી છે.
કોરોના મહામારીના સંક્રમણમાં ઘટાડો લાવવામાં રસીકરણ અભિયાનનો મહત્વનો ફાળો રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જ દેશમાં 30,81,336 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. જ્યારે અત્યારસુધીમાં કોરોના રસીના કુલ 175.37 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના ટેસ્ટિંગનો દર પણ હાલમાં વધારવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 11,87,766 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 75.93 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
