વિશાખાપટ્ટનમાં રાષ્ટ્રપતિની હાજરીમાં યોજાનાર નૌકા કાફલાના નિરીક્ષણ કાર્યક્રમ માટે ભારતીય નૌસેના સજ્જ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે મંગળવારે વિશાખાપટ્ટનમમાં નૌકા કાફલાનું અવલોકન કરશે. સશસ્ત્ર દળોના વડા તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ નૌકાકાફલાનું નિરીક્ષણ કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે મંગળવારે વિશાખાપટ્ટનમમાં નૌકા કાફલાનું અવલોકન કરશે. સશસ્ત્ર દળોના વડા તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ નૌકાકાફલાનું નિરીક્ષણ કરશે. આ વખતના નૌકાકાફલાના નિરીક્ષણનું આયોજન ભારતની સ્વતંત્રતાને 75 વર્ષ થયા તે નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ દરમ્યાન કરવામાં આવ્યું છે. આ વખતે 60 જહાજો અને 55 વિમાનો આ નૌકાકાફલા અવલોકનમાં સામેલ થશે. તે પછી વિશેષ ફર્સ્ટ ડે કવર અને સ્મૃતિ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવશે.
ભારતીય નૌસેનાએ આ કાર્યક્રમની થીમ "ભારતીય નેવી - રાષ્ટ્રની સેવાના 75 વર્ષ" રાખી છે. ભારતીય નૌસેનાના નિરીક્ષણનો આ 12મો કાર્યક્રમ છે. આ પહેલાં વર્ષ 2016માં જ્યારે પ્રણવ મુખર્જી દેશના રાષ્ટ્રપતિ હતા ત્યારે નૌસેના નિરીક્ષણનો કાર્યક્રમ યોજાયો હતો. દેશનો પ્રથમ નૌસેના નિરીક્ષણ કાર્યક્રમ વર્ષ 1953માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતીમાં યોજાયો હતો.
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને સંદેશાવ્યવહાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ હાજર રહેશે. સાથે જ આંધ્રપ્રદેશના રાજ્યપાલ બીસ્વાભુષણ હરિચંદન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી Y.S.જગન મોહન રેડ્ડી સહિતના નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દૂરદર્શન અને આકાશવાણી પર આ નૌકાકાફલા અવલોકન કાર્યક્રમનું સવિશેષ પ્રસારણ કરશે. આ કાર્યક્રમ માટે ગયા વર્ષના ઓકટોબર મહીનાથી તૈયારીઓ ચાલુ છે.
