દેશમાં કોરોના સામે લડવા હવે ભારતીય વાયુ સેના આવી મેદાને
Live TV
-
દેશમાં કોવિડ-19નાં ચેપ અટકાવવા સરકારના પ્રયત્નોમાં ભારતીય વાયુ સેના પણ આગળ આવી છે. વાયુસેનાએ સરકારને કોરોના રોગચાળાને નિયંત્રણમાં લેવા મદદ માટે તેના વિમાનોમાંથી ઓક્સિજન કન્ટેનર અને સિલિન્ડર, આવશ્યક દવાઓ, ઉપકરણો અને તબીબી કર્મચારીઓને મોકલવાનું શરૂ કર્યું છે. ભારતીય વાયુસેનાએ કોચી, મુંબઇ, વિશાખાપટ્ટનમ અને બેંગાલુરુથી ડોકટરો અને નર્સોને દિલ્હીની DRDOની અસ્થાયી કોવિડ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. વાયુસેનાએ DRDO ની ઓક્સિજન કન્ટેનરને બેંગ્લોરથી દિલ્હીનાં કોવિડ કેન્દ્રોમાં પહોંચાડ્યા હતા.
દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંગળવારે તમામ રક્ષા મથકોમાં દેશમાં કોવિડ -19 ની રોકથામ માટે વહીવટી તંત્રને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે. આ અંગે સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ, ત્રણેય સેના પ્રમુખ અને મુખ્ય સંરક્ષણ વડા બિપિન રાવતે ભાગ લીધો હતો. સંરક્ષણ મંત્રીએ કોવિડ -19 ને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં નિવૃત્ત સૈન્યના ડોકટરો અને નર્સોની ભરતી કરવાનું સૂચન પણ કર્યું હતું.
