દેશ અને દેશવાસીઓ માટે આજે ગૌરવનો દિવસ, દેશભરમાં 72માં પ્રજાસત્તાક દિનની ઉમંગભેર ઉજવણી
Live TV
-
આજે દેશ અને દેશવાસીઓ માટે ગૌરવનો દિવસ છે. દેશભરમાં આજે 72 માં પ્રજાસત્તાક દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દિલ્હીના રાજપથ પર દેશની આન, બાન, અને શાનનું સમુદ્ધ પ્રદર્શનના પ્રતિક રૂપે, ભવ્ય પરેડનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેડની સલામી ઝીલી હતી.. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રગાનની ધૂન સાથે , 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી.. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવોએ તિરંગાને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ , રાજપથ પર ભવ્ય પરેડની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ રાજ્યોના ટેબ્લોએ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. ખાસ કરીને ગુજરાતના મોઢેરાના સૂર્યમંદિરના ટેબ્લોએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જ્યારે ત્રણેય પાંખની સેનાના હેલિકોપ્ટરે રાજપથ પર આકાશમાંથી પુષ્પાવર્ષા કરી હતી.આ વખતે પહેલી વખત પ્રજાસત્તાક પર્વની પરેડમાં રાફેલની ગર્જના પણ સાંભળવા મળી રહી છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના રાષ્ટ્રીય "સમર સ્મારક" પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત સેનાની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યાં હતાં. અમર શહીદોની સ્મૃતિમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
