ધાર માર્ગ અકસ્માત: પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના, મૃતકોના પરિજનોને 2-2 લાખની સહાયની જાહેરાત
Live TV
-
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં બુધવારે(29 એપ્રિલ) રાત્રે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલય(PMO) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ અકસ્માતમાં જાન ગુમાવનારા દરેક મૃતકના પરિવારજનોને 'પીએમ નેશનલ રિલીફ ફંડ'માંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
PMO સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, "મધ્ય પ્રદેશના ધારમાં થયેલા અકસ્માતના સમાચાર સાંભળીને અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનારા લોકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય તેવી કામના કરું છું."
આ દર્દનાક દુર્ઘટના બુધવારે રાત્રે આશરે 8:30 વાગ્યે ધાર જિલ્લાના ચિકાલિયા વિસ્તારમાં એક ખાનગી પેટ્રોલ પંપ પાસે ઘટી હતી. મુસાફરોથી ખીચોખીચ ભરેલા એક પિકઅપ વાહન ચાલકે નિયંત્રણ ગુમાવતા પલટી મારી ગયું હતું. જેમાં 15થી વધુ લોકોના મોત નીપજ્યા છે. પ્રારંભિક પોલીસ તપાસ મુજબ, પિકઅપ વાહનમાં અંદાજે 40 થી 45 જેટલા મજૂરો સવાર હતા, જે નિયત ક્ષમતા કરતા ઘણા વધારે હતા. વાહન પલટતા જ ચીસાચીસ મચી ગઈ હતી. કેટલાક મુસાફરો રસ્તા પર ફંગોળાયા હતા તો કેટલાક વાહન નીચે દબાઈ ગયા હતા. વહીવટી તંત્રએ પુષ્ટિ કરી છે કે, મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
અકસ્માત થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્રની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ તમામ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
