નવી દિલ્હી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ 2023'નું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR), દિલ્હી ખાતે મિલિયોનેર ફાર્મર્સ ઓફ ઈન્ડિયા એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલા ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર વાત કરી હતી. તેમણે ખેડૂતોને રાસાયણિક અને જૈવિક ખેતીના દુષ્પ્રભાવ વિશે જણાવ્યું અને દરેકને પ્રાકૃતિક ખેતી તરફ પાછા ફરવા કહ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સંબોધનમાં ખેડૂતો સાથે રાસાયણિક અને ઓર્ગેનિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ જવાની પોતાની સફર વિશે જાણકારી આપી હતી. આબોહવા પરિવર્તનથી ખેડૂતો, પર્યાવરણ અને ખેતીને થતા નુકસાન વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, 60% ગ્લોબલ વોર્મિંગ Co2 દ્વારા થાય છે, જેમાં રાસાયણિક અને જૈવિક ખેતી બંનેનો ફાળો છે. જૈવિક ખેતીમાં વધુ માત્રામાં વપરાતા ગાયના છાણમાંથી મિથેન ગેસ અને રાસાયણિક ખેતીમાં વપરાતા યુરિયા/ડીએપી હવામાં Co2 ની માત્રામાં ઘણો વધારો કરે છે.
રાસાયણિક અને જૈવિક ખેતીના પરિણામો પર વિસ્તારથી સમજાવતાં તેમણે કહ્યું હતું કે, ભૂમિ પર રસાયણોના સતત ઉપયોગને કારણે તે અંદરથી એટલી નબળી બની ગઈ છે કે હરિયાળી ક્રાંતિ સમયે ભૂમિનો 2% જેટલો ઑર્ગેનિક કાર્બન હતો તે 0.5 કરતા પણ ઓછો થઈ ગયો છે. આજે આપણે યુરિયા નાખી નાખીને પૃથ્વી પરના મિત્રજીવોનો પણ નાશ કર્યો છે. આવી જમીનમાં ઉગાડવામાં આવતા અનાજ પણ ઝેરી હોય છે, જેના કારણે કેન્સર, ડાયાબિટીસ, હાઈ બીપી જેવી અનેક બીમારીઓ દિવસેને દિવસે વધી રહી છે. 40-50 વર્ષ પહેલાં જે રોગોનો કોઈ અત્તોપત્તો ન હતો તે આજે દરેક ઘરમાં જોવા મળે છે. તેમણે તમામ ખેડૂતોને ઝેરી રાસાયણિક ખેતી બંધ કરવા અને પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવાની અપીલ કરી હતી.
‘મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા’ એવોર્ડ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે ખેડૂતોને સન્માનિત કરવા કૃષિ જાગરણની પહેલ છે. આ એવોર્ડ દેશભરમાંથી કેટલાક અગ્રણી ખેડૂતોને પસંદ કરીને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક અલગ ઓળખ આપવાનું કામ કરશે. આ એવોર્ડ શોમાં ઘણી કંપનીઓ દ્વારા કૃષિ સંબંધિત ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરવામાં આવશે. નોંધનીય છે કે 'મહિન્દ્રા મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા એવોર્ડ 2023'નું આયોજન તા.6 થી8 ડિસેમ્બર 2023 દરમિયાન નવી દિલ્હીમાં IARI ફેર ગ્રાઉન્ડ, પુસા ખાતે કરવામાં આવી રહ્યું છે.
