પ્રજાસત્તાક દિવસે કલાકારોને પરેડમાં સારું પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવતાં પ્રધાનમંત્રી
Live TV
-
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પરેડમાં એનએસએસ અને એનસીસી કેડેટ્સ પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કેડેટ્સ અને કલાકારો સાથે આજે વાતચીત કરી હતી. વાતચીત પહેલા એનસીસી કેડેટ્સે પ્રધાનમંત્રી સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રિય મંત્રી કિરણ રિજિજૂ, અર્જુન મુંડા પણ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં જણાવ્યું હતું કે, કોરોના જેવી વિપરીત પરિસ્થિતિમાં પણ એનસીસીના જવાનોના ઉત્સાહમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. રાજપથમાં જ્યારે આ પ્રદર્શન થાય છે ત્યારે દેશ ઝૂમી ઊઠે છે. જ્યારે કલાકારો સંસ્કૃતિ પરંપરા અને વારસાની ઝાંખી બતાવે છે ત્યારે દેશવાસીઓનું શિશ ગર્વથી ઊંચું થઈ જાય છે. પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડ દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જીવંત કરનારા આપણા સંવિધાનને નમન કરે છે. ભારત એટલે રાજ્યો અનેક દેશ એક, ભારત એટલે સમાજ અનેક ભાવ એક, ભારત એટલે પંથ અનેક લક્ષ્ય એક, ભારત એટલે રિવાજ અનેક મૂલ્ય એક, ભારત એટલે ભાષા અનેક અભિવ્યક્તિ એક, ભારત એટલે રંગ એક ત્રિરંગો એક. એટલે કે ભારતનું એક જ લક્ષ્ય છે એક ભારત શ્રેષ્ઠ ભારત.આ સાથે જ પ્રધાનમંત્રીએ તમામ કલાકારોને પરેડમાં સારું પ્રદર્શન કરવા માટે શુભેચ્છા પણ પાઠવી હતી.
