પ્રધાનમંત્રીએ આગામી ઓલિમ્પિક માટે એથલેટ્સની તૈયારીઓ અંગે કરી સમીક્ષા બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યો ઓલિમ્પિક્સના 50 દિવસના પ્રસંગે ભારતની ઓલિમ્પિક્સની તૈયારીઓ સમીક્ષા કરી હતી. આગામી સમયમાં આવી રહેલા ટોક્યો ઓલિમ્પિક્સ માટે પરિચાલનની તૈયારીઓ સાથે સંકળાયેલા તમામ પરિબળો અંગે અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા દરમિયાન, આદરણીય પ્રધાનમંત્રીને મહામારીના સમય વચ્ચે પણ એથલેટ્સને કોઇપણ અવરોધ વગર તાલીમ સુનિશ્ચિત કરવા માટે, ઓલિમ્પિક ક્વૉટા જીતવા માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સહભાગીતા, એથલેટ્સના રસીકરણ અને તેમને પૂરા પાડવામાં આવતા વિશેષ જરૂરિયાત મુજબના સહકાર માટે લેવામાં આવી રહેલા વિવિધ પગલાંઓની માહિતી આપવામાં આવી હતી.
અધિકારીઓએ સહાયક સ્ટાફના રસીકરણની સ્થિતિ વિશે જાણ કરી હતી. પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, ટોક્યો ઓલિમ્પિક્સના પ્રવાસે જઇ રહેલા પ્રત્યેક ક્વૉલિફાઇડ/ સંભવિત એથલેટ, સહાયક સ્ટાફ અને અધિકારીઓએ શક્ય હોય એટલી વહેલી તકે રસીકરણ કરાવી લેવું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ જુલાઇ મહિનામાં આપણા ઓલિમ્પિક્સના સંભવિત ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને તેમને પ્રોત્સાહિત કરશે અને તમામ ભારતીયો વતી તેમને શુભેચ્છાઓ પાઠવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રમતો આપણી રાષ્ટ્રીય લાક્ષણિકતાના હૃદય સ્થાને છે અને આપણા યુવાનો રમતોમાં મજબૂત અને ધબકતી સંસ્કૃતિનું સર્જન કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે જઇ રહેલા આપણા યુવાનો સાથે 135 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ જોડાયેલી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, વૈશ્વિક મંચ પર ઝળકી ઉઠતા પ્રત્યેક રમતવીર પરથી બીજા હજાર યુવાનો રમતોમાં જોડવા માટે પ્રેરણા મેળવે છે.
અધિકારીઓએ કહ્યું હતું કે, એથલેટ્સ ઓલિમ્પિક્સમાં ભાગ લઇ રહ્યાં હોય ત્યારે તેમને પ્રેરણા આપવા માટે અને એથલેટ્સનું મનોબળ મજબૂત કરવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. આથી, આખી સ્પર્ધા દરમિયાન ભારતમાં રહેલા તેમના માતાપિતા અને પરિવારો નિયમિત વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, ટોક્યો ઓલિમ્પિક્સ માટે અલગ અલગ 11 રમતો માટે કુલ 100 એથલેટ્સ ક્વૉલિફાઇ થયા છે અને અંદાજે 25 એથલેટ્સ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વૉલિફાઇ થાય તેવી સંભાવના છે જેમની વિગતો જૂન 2021ના અંત સુધીમાં સામે આવી જશે. 2016માં રિયો ડી જાનેરો ખાતે યોજાયેલા પેરાલિમ્પિક્સમાં કુલ 19 ભારતીય એથલેટ્સે ભાગ લીધો હતો જ્યારે ટોક્યો ઓલિમ્પિક્સ માટે 26 પેરા એથલેટ્સ ક્વૉલિફાઇ થયા છે અને બીજા 16 એથલેટ્સ ક્વૉલિફાઇ થવાની સંભાવના છે.
