પ્રધાનમંત્રીએ તમિલનાડુના પુરગ્રસ્ત વિસ્તારોને મદદ કરવાની આપી ખાતરી
Live TV
-
તમિલનાડુમાં આવેલ ચક્રવાત મિચોંગ અને ભારે વરસાદના કારણે આવેલા પૂરને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુને મદદની ખાતરી આપી છે. આ માટે પીએમ મોદીએ પૂરની સ્થિતિનું આકલન કરવા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની નિમણૂક કરી છે. દરમિયાન પીએમઓના અધિકારીઓએ તમિલનાડુના અધિકારીઓ સાથે પૂર આવ્યા બાદ રાજ્યમાં રાહત અને પુનર્વસન અંગે ચર્ચા કરી હતી. મીટિંગ દરમિયાન તેઓએ NDRFની ટીમ તેમજ સશસ્ત્ર દળોના હેલિકોપ્ટર સહિતની મદદની જરૂરિયાતો અંગે ચર્ચા કરી. નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમની મુલાકાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પ્રધાનમંત્રીની સક્રિયતા માટે આભાર વ્યક્ત કર્યો. તમિલનાડુના સીએમ સ્ટાલિને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત પછી તરત જ મને દક્ષિણ તમિલનાડુમાં પૂરની સ્થિતિ વિશે પૂછવા માટે ફોન કર્યો હતો." મુખ્યમંત્રીએ રાજ્ય સમક્ષ વધી રહેલા પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાયની તાત્કાલિક જરૂરિયાત વિશે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીની અપીલનો જવાબ આપતા પીએમ મોદીએ તામિલનાડુને બે આફતોમાંથી બહાર આવવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
તમિલનાડુ મિચોંગ અને પૂર સામે લડી રહ્યું હોવાથી, રાજ્ય સરકાર અને કેન્દ્રએ સંયુક્ત રીતે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે મોટા પાયે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. ગયા શનિવારે, તમિલનાડુના મુખ્ય સચિવ શિવ દાસ મીનાએ જણાવ્યું હતું કે રાજ્યના પૂરથી પ્રભાવિત દક્ષિણી જિલ્લાઓમાં બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ત્યાં મૂળભૂત સેવાઓ પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જોકે, પૂરને પગલે કેટલાક જિલ્લાઓમાં હજુ પણ સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યભરમાં અવિરત વરસાદને કારણે માર્ગો અને રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
