પ્રધાનમંત્રીએ મત્સ્ય સંપદા યોજના અને ઈ-ગોપાલા એપનો કરાવ્યો શુભારંભ
Live TV
-
ઈ-ગોપાલા એપ પશુ સ્વાસ્થ્યને મજબૂત બનાવવા અને તેમની ઉત્પાદક્તા વધારવામાં કરશે મદદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તેમજ ઈ- ગોપાલા એપનો શુભારંભ કરાવ્યો હતો. એપ લોન્ચિંગ બાદ પ્રધાનમંત્રીએ બિહારના જુદા-જુદા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વર્ચુઅલ માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહ અને બિહારના CM અને ડેપ્યુટી CM પણ ઉપસ્થિત રહ્યા હતા..
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દેશમાં મત્સ્યપાલન ક્ષેત્રના સતત વિકાસની એક ફ્લેગશીપ યોજના છે. જે અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21થી 2024-25 વચ્ચેના પાંચ વર્ષની મુદતમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આત્મનિર્ભર ભારતના પેકેજના ભાગરૂપે આ યોજનાના અમલ માટે રૂપિયા 20 હજાર 50 કરોડનું રોકાણ કરાશે. વર્ષ 2024-25 સુધીમાં માછલીના ઉત્પાદનમાં 70 લાખ ટનનો વધારો અને માછલી નિકાસથી થતી આવકમાં વધારો કરવાની નેમ સાથે આ યોજના અમલી બનશે.
આ યોજનાની મદદથી માછીમારો અને મત્સ્ય ખેડૂતોની આવકને બમણી કરવા અને રોજગારીની તકો વધારવાની બાબત પર પણ ભાર મુકાઇ રહ્યો છે. આ ઉપરાંત ઇ-ગોપાલા એપ તે ખેડૂતોના સીધા ઉપયોગ માટે તૈયાર કરાયું છે. જે એપ પશુઓના નસ્લ સુધાર, બજાર અને માહિતી પોર્ટલ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા બિહારમાં માછલી પાલન અને પશુપાલન સંબંધી અનેક પહેલ થશે.
