પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેહરાદૂનમાં ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેહરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, FRI ખાતે બે દિવસીય ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાખંડને રોકાણના નવા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સ રાજ્યમાં રોકાણ કરવાની સુવર્ણ તક છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં માર્ગ, રેલ અને હવાઈ ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો છે, જે ઔદ્યોગિક જૂથો માટે રાજ્યમાં રોકાણ કરવાનું સરળ બનાવશે.
પ્રવાસન ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણની અપાર સંભાવનાઓ છે. તેમણે દેશવાસીઓને વિદેશમાં લગ્નો યોજવા અને દેશમાં લગ્ન કરવાને બદલે ઉત્તરાખંડને ડેસ્ટિનેશન વેડિંગ તરીકે સ્થાપિત કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સમય દેશમાં સ્થાનિક પુરવઠા શૃંખલા અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મજબૂત કરવાનો સમય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશે નિકાસ વધારવા અને આયાત ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ રાજ્યના મહિલા સ્વ-સહાય જૂથોના હાઉસ ઓફ હિમાલય બ્રોડનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ બ્રાન્ડ સાથે 2 કરોડ ગ્રામીણ મહિલાઓને કરોડપતિ બનાવવાનું કામ ઝડપથી પૂર્ણ થશે. આ પહેલા પ્રધાનમંત્રીએ રોડ શો યોજ્યો હતો જેમાં પરંપરાગત પોશાકમાં સ્થાનિક મહિલાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
