પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મનકી બાત'ની 110મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કર્યો સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મનકી બાત'ની 110મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કર્યો સંવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મનકી બાત'ની 110મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી વિશે જણાવ્યું કે, આ દિવસ નારી શક્તિના યોગદાનને નમન કરવાનો દિવસ છે. આજની ભારતની નારી તમામ ક્ષેત્રોમાં નવી ઉંચાઈઓ સર કરી રહી છે. આજે ગામડામાં રહેતી મહિલા પણ ડ્રોન ઉડાડી ડ્રોન દીદી તરીકે ઓળખાતી થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે. 3 માર્ચે 'વિશ્વ વન્ય દિવસ' છે ત્યારે આ ટેક્નોલોજીનો ઉપયોગ વન્ય જીવો સાથે તાલમેલ સાધવામાં થાય તે માટે આ વર્ષે 'વિશ્વ વન્ય દિવસ'ની થીમ 'ડીજીટલ ઈનોવેશન' રાખવામાં આવી છે. પ્રધાનમંત્રીએ વન્યજીવોના સંરક્ષણ માટે AI ટુલ્સ અને તેને લગતી બેંગલોરની 'બઘીરા' અને 'ગરુડ' એપની વાત કરી હતી.
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ પશુપાલન ક્ષેત્રે બકરી પાલનના મહત્વને સમજાવતા જણાવ્યું કે, આજે લોકો આત્મનિર્ભર થવા માટે નવા નવા રસ્તા અપનાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ બેંગલુરુના જયંતિ મહાપાત્રા અને તેમના પતિ બીરેન સાહુના ગૉટ બેંકના પ્રયાસની પ્રશંસા કરી હતી. આ બેંક સાથે આજે 50 ગામના 1000થી વધુ ખેડૂતો જોડાઈ પશુપાલન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યા છે. 'પરમાર્થને પરમો ધર્મ' ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે દેશમાં અનેક લોકો નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. બિહારના ભોજપુરના ભીમસિંહ ભવેશજીએ પોતાના ક્ષેત્રના વંચિત સમુદાય મુસહર જાતિ માટે કરેલા કાર્યોને વખાણ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભીમસિંહએ પોતાના સમુદાયના 8000 ગરીબ બાળકોનું શાળામાં એડમિશન કરાવ્યું છે. સાથે જ તેમના આરોગ્ય માટે તેમણે 100થી વધુ મેડિકલ કેમ્પ લગાવ્યા છે.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે નિઃસ્વાર્થભાવે લોકો દેશની સંસ્કૃતિના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરના ગાન્દરબલમાં મોહંમદ માનશાહના ગોજરી ભાષાના સંરક્ષણ માટેના પ્રયાસ, અરુણાચલ પ્રદેશના શિક્ષક બનવંગ લોસુના ભાષાના પ્રચાર-પ્રસારના પ્રયાસ અને કર્ણાટકના વેંકપ્પા અંબાજી સુગેતકરના ગીતો અને લોક-નૃત્યોના માધ્યમથી ભારતીય સંસ્કૃતિના સંરક્ષણના પ્રયાસને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ વારાણસીમાં નિહાળેલ ફોટો પ્રદર્શનમાં કાશીના યુવાનોએ મોબાઈલ દ્વારા કરેલી ફોટોગ્રાફીના વખાણ કરતાં જણાવ્યું કે, આજે મોબાઈલ કન્ટેન્ટ ક્રિએટર બની ગયો છે. પ્રધાનમંત્રીએ આવા યુવાઓના સન્માન માટે શરૂ કરાઈ રહેલા 'નેશનલ ક્રિએટર અવોર્ડ' માટે તમામ યુવાઓને નોમિનેશન કરાવવા આગ્રહ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચના 'મારો પહેલો મત - દેશ માટે' અભિયાન અંતર્ગત દેશના તમામ પ્રથમ મતદારોને રેકોર્ડબ્રેક સંખ્યામાં મતદાન કરવા આગ્રહ કર્યો હતો. લોકસભા ચૂંટણીની આચાર સંહિતાને લઈ આગામી 3 માસ મનકી બાત કાર્યક્રમનું પ્રસારણ નહિં થવા પર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ દરમિયાન દેશનો વિકાસ, દેશની સિદ્ધિઓ અટકી જવાની નથી તો તમામ લોકોને હેશટેગ સાથે સમાજની સિદ્ધિઓને સોશિયલ મીડિયા પર વધુમાં વધુ શેર કરવા અનુરોધ કર્યો હતો.