પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 84 માં સંસ્કરણમાં કર્યો સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના માસિક કાર્યક્રમ 'મન કી બાત' ના 84 માં સંસ્કરણમાં દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસી સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, સાત વર્ષથી તેઓ આ કાર્યક્રમના માધ્યમથી સંવાદ કરી રહ્યા છે. તેમણે સરકારની ઉપલબ્ધિ પર નહીં પણ મીડિયા અને અખબારોના સમાચારોથી દૂર પોતાની જાતને ખપાવી રહેલા કર્મવીરોને પ્રકાશમાં લાવવા પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, દેશ હાલમાં ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસનો સામનો કરી રહ્યો છે. સતર્કતા, અનુશાસન જ મહામારીમાંથી બહાર લાવી શકશે. સામૂહિક શક્તિ જ કોરોનાને પરાસ્ત કરી શકશે. તે બોધ સાથે આપણે વર્ષ 2022 માં પ્રવેશ કરવાનો છે.
પ્રધાનમંત્રી મોદીએ તામિલનાડુમાં સર્જાયેલી હેલીકૉપટર દુર્ઘટનામાં શહીદ થયેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને પાયલોટ વરૂણસિંહ સહિતના શહીદ વીરોને ભાવાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પરીક્ષા સમયમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાની યોજના ઘડી રહ્યા છે. 28 ડિસેમ્બરથી માયગોવ ડોટઇન પોર્ટલ પર તે કાર્યક્રમ માટે નોંધણી થવાની છે. પ્રધાનમંત્રીએ સૌને તે ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં એક વીડિયો પણ સંભળાવ્યો હતો. વીડિયોમાં ગ્રીસની એક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમનું ગાન કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવા પ્રયાસો જ બે દેશોને નજીક લાવે છે.
વધુમાં પ્રધાનમંત્રી મોદીએ લખનઉના રહીશ નિલેશની એક પોસ્ટમાં જોવા મળતા ડ્રોન શોની પણ કાર્યક્રમમાં પ્રસ્તિતિ કરી હતી. સ્વતંત્રતા સંગ્રામના સાક્ષી રહેલા લખનઉના રેસીડન્સી વિસ્તારમાં આવેલી ઇમારતોની દિવાલ પર સ્વતંત્રતા સંગ્રામના વિવિધ પાસાને જીવંત કરવા પ્રયાસ થયો હતો. તે પ્રયાસને ડ્રોન શોમાં પ્રસ્તુતિ મળી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેલંગાણાના 84 વર્ષની વયે પહોંચેલા ડોક્ટર કુરેલા વિઠ્ઠલાચાર્યના પોતાની લાયબ્રેરી ઉભી કરવાના પ્રયાસને પણ બિરદાવ્યો હતો. લેક્ચરર તરીકે સેવા આપી ચુકેલા ડોક્ટર વિઠ્ઠલાચાર્યે ગ્રંથાલય ઉભો કરવા પાછળ જીવનભરની કમાણી ખર્ચી નાખી છે. ગ્રંથાલયમાં બે લાખ જેટલા પુસ્તક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુણેની ભંડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઇનસ્ટીટ્યુટ દ્વારા અન્ય દેશોના લોકોને મહાભારતના મહત્વને સમજાવવા શરૂ થયેલા ઓનલાઇન અભ્યાસક્રમની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સંસ્થાનમાં અભ્યાસક્રમનું કન્ટેન્ટ સો વર્ષથી તૈયાર થઇ રહ્યું હતું.
વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ વિશે જાણકારી મેળવવાની રૂચિ વધી રહ્યાનો ગૌરવભાવ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સર્બિયન સ્કોલર ડો.મોમિર નિકિચે સંસ્કૃત- સર્બિયન ભાષાનો એક દ્વિભાષી શબ્દકોષ તૈયાર કર્યો છે. ભારતના મહાકાવ્યોનું મોંગોલિયન ભાષામાં અનુવાદ કરનારા પ્રોફેસર જે.ગંદેધરમને પણ પ્રધાનમંત્રીએ યાદ કર્યા હતા.
અરૂણાચલના લોકોએ પક્ષીઓનો અંધાધૂધ શિકાર બંધ થાય તે હેતુસર એરગન સરન્ડર અભિયાન શરૂ કર્યું છે. પક્ષીઓની પ્રજાતિઓના બચાવ માટે થયેલી આ પહેલની પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી હતી.પર્યાવરણના બચાવ માટે એનસીસી કેડેટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા પુનિત સાગર અભિયાનને પ્રધાનમંત્રીએ બિરદાવ્યું હતું. આ અભિયાન હેઠળ બીચ પરથી પ્લાસ્ટિક કચરો દૂર કરવામાં આવ્યો હતો. દેશવાસીઓ સાથે કરેલા સંવાદને અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
