ભારતીય દૂતાવાસની મદદથી 19 માછીમારોને શ્રીલંકાએ મુક્ત કર્યાં
Live TV
-
શ્રીલંકાના કોસ્ટ ગાર્ડે તમિલનાડુના 19 માછીમારોને મુક્ત કર્યા છે. તમામ ભારતીય માછીમારો મંગળવારે રાત્રે ચેન્નાઈ પરત ફર્યા હતા. શ્રીલંકામાં ભારતીય દૂતાવાસના સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે.
હકીકતમાં, 16 માર્ચના રોજ રામેશ્વરમના 21 માછીમારોનું એક જૂથ બે બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયું હતું. સમુદ્રની વચ્ચેથી, શ્રીલંકાના કોસ્ટ ગાર્ડના કર્મચારીઓએ માછીમારોને શ્રીલંકાના પ્રાદેશિક જળસીમામાં પ્રવેશવા માટે પકડ્યા અને તેમની બોટ જપ્ત કરી લીધી. બાદમાં શ્રીલંકાની પોલીસે આ માછીમારોની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. આ તમામ માછીમારો માયલાદુથુરાઈ, પુડુકોટ્ટઈ અને કરાઈકલના રહેવાસી છે.
ભારતીય માછીમારોની ધરપકડથી નારાજ માછીમારોના પરિવારોએ રાજ્ય અને કેન્દ્ર સરકારોને તેમની મુક્તિ માટે પગલાં ભરવા વિનંતી કરી હતી. આ પછી, શ્રીલંકામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ તેમના જરૂરી દસ્તાવેજો રજૂ કરીને માછીમારોને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. આ પછી શ્રીલંકામાં ભારતીય દૂતાવાસની મદદથી 19 માછીમારોને જેલમાંથી મુક્ત કરીને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.
શ્રીલંકાના ભારતીય દૂતાવાસે ગુરુવારે સત્તાવાર માહિતી આપી હતી કે, આ તમામ 19 માછીમારો મંગળવારે રાત્રે કોલંબોથી ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યા હતા. એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા ચેન્નાઈ એરપોર્ટ પહોંચેલા આ માછીમારોનું ફિશરીઝ વિભાગના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને તેમના વતન લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
